ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં છેલ્લા ૨૪ કલાકમાં રાફડો ફાટ્યો છે.છેલ્લા પખવાડિયાથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસનો આંકડો બે ગણો વધીને ૪૦૭ને આંબી ગયો ગયો છે.અલબત્ત,કોરોના સંક્રમણથી આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, પરંતુ અમદાવાદ સહિતના મહાનગરોમાં કોરોનાના નવા કેસોમાં ચિંતાજનક વધારો તંત્ર માટે નવો પડકાર બની રહ્યો છે.મંગળવારે અમદાવાદના ૧૦૬ કેસની સામે બુધવારે ૨૦૭ કેસ નોંધાયા છે.રાજ્યના ૩૩ જિલ્લામાંથી માત્ર ૧૭ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી,પરંતુ દિન પ્રતિદિન એક નવા જિલ્લામાં કોરોનાના કેસો મળી રહ્યા છે.
ચાલુ સપ્તાહના પ્રથમ દિવસથી કોરોનાના કેસોમાં સતત થઈ રહેલો વધારો તંત્રને કોરોના પ્રોટોકોલના પાલન કરાવવા માટે ફરજ પાડી રહ્યો હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.કોરોનાના સતત વધતા કેસો કોરોનાની ચોથી લહેરના પ્રારંભિક લક્ષણો હોવાની તજજ્ઞોની આશંકા ધીમે ધીમે નક્કર વાસ્તવિકતા તરફ આગળ વધી રહી છે.પ્રવર્તમાન સંજોગોમાં લોકો બેદરકારી દાખવશે તો કોરોનાનો પંજો ફરી વિકરાળ બને તેવી શક્યતા નકારી શકાય નહીં.એકતરફ નવા શૈક્ષણિક સત્રના આરંભ સાથે ગુરુવારથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થઈ રહ્યો છે.સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકમાં વંદે ગુજરાત યાત્રાનું આયોજન અને ત્યારબાદ આગામી અષાઢી બીજે અમદાવાદમાં બે વર્ષ બાદ સુપ્રસિદ્ધ રથયાત્રાની રંગેચંગે ઉજવણી થવાની છે ત્યારે કોરોનાનો વ્યાપ અટકાવવા તંત્રએ ખાસ તકેદારી રાખવી પડશે એ નિશ્ચિત છે.
અમદાવાદ શહેરમાં રોજે રોજ સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા નવા ૪૦૭ કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરના ૨૦૭ અને ગ્રામ્યના ૩ મળી કુલ ૨૧૦ કેસ ઉમેરાયા છે.એટલું જ નહીં,અમદાવાદ બાદ અન્ય મહાનગરોની સ્થિતિ જોઇએ તો અમદાવાદ પછી વધુ કેસમાં સુરત શહેરમાં ૪૫ અને જિલ્લાના ૧૨ મળી કુલ ૫૭,વડોદરામાં કુલ ૪૧,રાજકોટમાં કુલ ૨૦, ભાવનગરમાં ૧૧,ગાંધીનગરમાં કુલ ૧૬,વલસાડ ૮,ભરૂચમાં ૭,જામનગરમાં ૭,આણંદમાં ૬,સાબરકાંઠામાં ૫,બનાસકાંઠા,કચ્છ અને મહેસાણામાં ૪-૪ કેસ નોંધાયા છે.આ ઉપરાંત નવસારી,અમરેલી,પાટણ અને સુરેન્દ્રનગરમાં ૧-૧ કેસ નોંધાયા છે.છેલ્લા ચોવીસ કલાકમાં ૧૯૦ દર્દી ડિસ્ચાર્જ થયા છે અને રિકવરી રેટ ૯૮ ટકા રહ્યો છે.
જૂન મહિનાના પ્રારંભથી જ રાજ્યભરમાં કોરોનાનો ધીમે પગલે થઈ રહેલો પગ પેસારો હવે વિકરાળ બનતો જઈ રહ્યો છે.બુધવારે એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૭૪૧ને આંબી ગઈ છે.જેમાં ૧૭૩૭ દર્દી સ્ટેબલ જ્યારે ૪ દર્દી વેન્ટિલેટર પર છે.રાજ્યમાં છેલ્લા અઢી વર્ષના કોરોનાકાળમાં કુલ ૧૨,૧૫,૮૦૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે ૧૦,૯૪૬ દર્દીનાં કોરોનાને કારણે મૃત્યુ થયા છે.ઉલ્લેખનીય છે કે,ઓમિક્રોન વેરિયન્ટની ઘાતકતા ઓછી હતી,પરંતુ તેનું સંક્રમણ અત્યંત ઝડપી હોવાને કારણે મહાનગરોથી જિલ્લા સુધી તેનો વ્યાપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.તેમાંયે રાજ્યમાં ગત દિવસોમાં નોંધાયેલા કેસોના જિનોમ સિકવન્સિંગમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટની પુષ્ટિથી તંત્ર ચોંકી ઉઠ્યું છે.અલબત્ત,આ વેરિયન્ટ કેટલો ઘાતક છે તેની ચકાસણી ચાલી રહી છે,
પરંતુ છેલ્લા સપ્તાહમાં કોરોનાના કેસોએ જે ગતિ પકડી છે તે જોતાં આ વેરિયન્ટ પણ ઘાતક નહીં તો ઝડપથી પ્રસરીને લોકોને સંક્રમિત કરવા સક્ષમ હોય તેવું માનવું અતિશયોક્તિભર્યું નહીં ગણાય તેમ તજજ્ઞો કરી રહ્યા છે.