– 24 કલાકમાં કોરોનાથી વધુ 119નાં મોત
– એક્ટિવ કેસોમાં 8871ના ઘટાડા સાથે કુલ કેસો એક લાખે પહોંચ્યા,આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સસ્પેન્ડ રહેશે
નવી દિલ્હી : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 8013 કેસો સામે આવ્યા છે.બે વર્ષમાં કોરોનાના કેસો ઘટીને 10 હજારની નીચે પહોંચી ગયા છે.જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને 4.29 કરોડને પાર પહોંચી ગઇ છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 119 લોકોના મોત નિપજ્યા હતા.જે સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 5.13 લાખને પાર પહોંચ્યો હતો.
દરમિયાન ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને એક લાખની નીચે પહોંચી ગઇ છે.છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં 8871નો ઘટાડો થયો છે.જેમ જેમ કોરોનાના કેસોની સંખ્યા ઘટવા લાગી છે તેમ તેમ રાજ્યોમાંથી પ્રતિબંધો હટવા લાગ્યા છે.દિલ્હીમાં સ્થિતિ પહેલા જેવી નોર્મલ થવા લાગી છે.કેમ કે દિલ્હી સરકારે કોરોના સાથે જોડાયેલા બધા જ પ્રતિબંધો હટાવી લીધા છે.માર્ચ મહિનામાં દિલ્હીના રેસ્ટોરન્ટ અને અન્ય વેપાર કરનારાઓને એવી આશા છે કે અર્થતંત્ર ફરી પાટા પર આવી જશે.આ સ્થિતિ વચ્ચે જોકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને કોઇ રાહત નથી મળી.ડીજીસીએ દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આગામી આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સસ્પેન્ડ રાખવામાં આવશે.એટલે કે હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને શરૂ કરવામાં નહીં આવે.છેલ્લે 26.11.2021ના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધોને હટાવી દેવામાં આવ્યા હતા.જ્યારે જે દેશોની સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સમજૂતી થઇ છે તેને શરૂ રાખવામાં આવશે.