અમદાવાદ : હાલ રાજ્યભરમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને કારણે લોકોમાં દહેશત વર્તાઈ રહી છે.ત્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજન,પીપીઈ કિટ,મેડિકલ બેડની અછતના દ્રશ્યો યાદ આવી જાય છે.પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સહાયનો ધોધ વરસ્યો હતો.જેમાં સરકારી,ખાનગી વ્યક્તિઓ અને દેશ વિદેશના ડોકટરોએ અંદાજે ચાર કરોડ રૂપિયાના મેડિકલ ઈકવિપમેન્ટ માટે સહાય કરી હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જે રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે,તેને કારણે દરેક વ્યક્તિને કોરોનાની ચોથી સંભવિત લહેર અંગે શંકા-કુશંકા કરી રહી છે.બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં બેડ,ઓક્સિજન સિલિન્ડર,પીપીઈ કીટ,સહિતના આવશ્યક મેડિકલ ઈકવિપમેન્ટ ની અછત સામે દરેક વ્યક્તિ વિવશ થઈ ગઈ હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના સુપરિટેન્ડન્ટ ડો રાકેશ જોશી કહે છે કે,“એ વાતમાં બેમત નથી કે બીજી લહેર ભયાવહ હતી.દર્દીઓની સતત વધતી જતી સંખ્યા સામે ડોકટરો અને અન્ય પેરામેડીકલ સ્ટાફ ઝઝૂમી રહ્યો હતો.આ તબક્કે અમને રાજકીય,સામાજિક જબરદસ્ત પીઠબળ મળ્યું હતું.એ સમયગાળા દરમિયાન ઓક્સિજન ની અછત પડકારરૂપ હતી.પરંતુ હવે આપણી આવી કોઈપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા સક્ષમ છીએ.કારણ કે આ દરમિયાન જ અમને કુલ 4 કરોડ રૂપિયાની સહાય મળી છે.જેનાથી અમે અતિ આવશ્યક મેડિકલ ઈકવિપમેન્ટ મેળવી લીધા છે.
માર્ચ 2021 થી જૂન 2021 દરમિયાન આવેલી બીજી લહેર માં પડેલી તકલીફો બાદ સિવિલ હોસ્પિટલમાં સતત સહાય મળી છે.બી જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા અને વિદેશમાં સ્થાયી થયેલા ડોકટરોનાં બી.જે મેડિકલ એલ્યુમની એસોશિયેશન(યુ એસ એ) દ્વારા 1000 લિટરના ઓક્સિજન પ્લાન્ટ માટે રૂ 98 લાખ અને એક્સ રે મશીન માટે રૂ 34 લાખ આપવામાં આવ્યા છે.જ્યારે ખાનગી કંપની જે.એમ.ફાઈનાન્સ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી હેઠળ ડીજીટલ એક્સ રે મશીન માટે રૂ 34 લાખ અને બેબી વોર્મર મશીન માટે રૂ 3 લાખ ની સહાય કરવામાં આવી છે.તદુપરાંત અમેરિકા ના ફિલાડેલફિયા ના ડો અસીમ શુક્લા અને તેમની ટીમે રૂ 80 લાખ ના ઓક્સિજન કોંસંતરેટર આપ્યા છે.
શ્યામનારાયન મિગનાની દ્વારા ડિજિટલ એક્સ રે મશીન માટે.રૂ 34 લાખ અને બ્રિટનના ડો વિજય જસાની દ્વારા ઓક્સિજન કોંસંતરેટર માટે રૂ 10 લાખ ની સહાય મોકલવામાં આવી હતી.બીજીબાજુ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ધારાસભ્ય પ્રદીપ પરમાર તથા બલરામ થાવાની ની ગ્રાન્ટમાંથી રૂ 91 લાખના મેડિકલ ઈકવિપમેન્ટ આપવામાં આવ્યા છે.આમ બીજી લહેર દરમિયાન જે મુશ્કેલીઓ જોવા મળી તેના બાદ કુલ અંદાજે રૂ ચાર કરોડના સાધનો સિવિલ હોસ્પિટલને મળ્યાં છે.આમ હવે એમ કહી શકાય કે ફરીવાર બીજી લહેર જેવી પરિસ્થિતિ સર્જાશે નહીં.


