– અફવાઓથી ભરમાતા નહીં, રસી લેજો
નવી દિલ્હી તા.4 જાન્યુઆરી : કોરોનાની રસી અંગે મુસ્લિમ સમાજમાં છેલ્લા થોડા સમયથી જાતજાતની અફવા ફેલાતી રહી હતી.હવે મુસ્લિમોની સૌથી મોટી મનાતી સંસ્થા જમાત-એ-ઇસ્લામી હિંદે એવી જાહેરાત કરી હતી કે કોરોનાની રસી મુસ્લિમો માટે પણ યોગ્ય છે.
આ રસી અંગે પ્રવર્તી રહેલી અફવાઓથી ભરમાવાની જરૂર નથી.હરામ-હલાલ રસી અંગે કેટલાક લોકો ઇરાદાપૂર્વક અફવા ફેલાવી રહ્યા હતા.આવી વાતોમાં આવી જવાની જરૂર નથી એવી સ્પષ્ટતા જમાત-એ-ઇસ્લામી હિંદ દ્વારા કરવામાં આવી હતી.જમાત-એ-ઇસ્લામી હિંદની શરિયા કાઉન્સિલના મહામંત્રી ડૉક્ટર રબી-ઉલ-ઇશ્લામ નદવીએ કહ્યું હતું કે ઇસ્લામમાં જે ચીજને હરામ ગણાવવામાં આવી હોય એને અન્ય કોઇ ચીજમાં ફેરવી નાખવામાં આવે અને એનાથી માનવ જીવન બચી શકતું હોય તો એનો ઉપયોગ કરવામાં કોઇ વાંધો નથી.ડૉક્ટર નદવીએ કહ્યું કે કટોકટીની પળે હલાલ રસી ઉપલબ્ધ ન હોય તો જાન બચાવવા હરામ વેક્સિન પણ લઇ શકાય છે.
અત્રે એ નોંધવા જેવું છે કે કોરોનાની રસી બનાવવામાં ડુક્કરના રક્તનો ઉપયોગ થયો હોવાથી એ મુસ્લિમો લઇ શકે નહીં એવી વાતો કેટલાક પરિબળોએ વહેતી કરી હતી.પરિણામે મુસ્લિમોમાં દ્વિધાની લાગણી જન્મી હતી કે અમે કોરોનાની રસી લઇ શકીએ કે કેમ.એના અનુસંધાનમાં ડૉક્ટર નદવીની આ વાત મહત્ત્વની બની જાય છે.
ડૉક્ટર નદવીએ કહ્યું કે રસી બનાવવામાં વપરાયેલાં રસાયણોની વિગતો હજુ જાહેર કરાઇ નથી.એટલે અત્યારથી એમ કહી શકાય નહીં કે રસી હરામ છે.આ અગે પૂરેપૂરી વિગતો જાહેર ન થાય ત્યાં સુધી જાન બચાવવા જે રસી અત્યારે ઉપલબ્ધ છે એનો ઉપયોગ કરી શકાય છે.
વાસ્તવમાં આ રસી હરામ હોવાની વાતો સૌ પ્રથમ મલેશિયા અને ઇન્ડોનેશિયાથી વહેતી થઇ હતી.ભારતમાં મુંબઇની રઝા એકેડેમી તરફથી આવી વાત વહેતી કરાઇ હતી.રઝા એકેડેમીએ રસીના ઉપયોગ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. એ લોકોએ એવો તર્ક રજૂ કર્યો હતો કે પોર્ક જિલેટીનનો ઉપયોગ રસી બનાવવામાં થયો હોવાથી એનો ઉપયોગ હરામ ગણાય.જો કે રઝા એકેડેમી એ હકીકત સાબિત કરી શકી નથી કે રસીમાં પોર્ક જિલેટીનનો ઉપયોગ કરાયો હતો.