અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે કોરોના પછી વિશ્વના દોઢ કરોડ લોકોને વિવિધ માનસિક બીમારીનો સામનો કરવો પડયો છે.આ અહેવાલ બીએમજે મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો.બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે દુનિયામાં કોરોના પછી સાજા થયેલા દોઢ કરોડ કરતાં વધુ લોકોને માનસિક બીમારીનો સામનો કરવો પડયો હતો અને એકલા અમેરિકામાં જ ૨૮ લાખ લોકો માનસિક બીમારી બન્યા હતા.અહેવાલ પ્રમાણે કોરોનામાંથી સાજા થયા બાદ એક વર્ષ સુધી વિવિધ માનસિક બીમારીનો ખતરો રહે છે. ખાસ તો સ્લીપિંગ ડિસઓર્ડર્સ, એંગ્ઝાઈટી, ડિપ્રેશન વગેરેનો શિકાર બનવાની શક્યતા છે.જોકે, લોકો એ બાબતે ખૂબ જ વેપરવાહ હોવાનું પણ કહેવાયું હતું. લોકો કોરોના પછી આવી માનસિક બીમારી બાબતે ખાસ ધ્યાન આપતા નથી અને તેના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે.વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ એવી ભલામણ કરી હતી કે જેમને કોરોનાનું સંક્રમણ વધારે થયું હોય તેમણે માનસિક બીમારીથી સાવધાન રહેવું જોઈએ.કોરોના સર્વાઈવર્સે એક વર્ષ સુધી દિમાગમાં કંઈ ફેરફાર જણાય તો તેને ગંભીરતાથી લઈને ઈલાજ કરાવવો હિતાવહ છે.


