કોરોનામાં હવે કેન્દ્ર તરફ થી અન્યાય કરાતા હવે સાચી સ્થિતિ બહાર આવી રહી છે,નાણાંકીય સ્થિતિ સામે આડેધડ ઉત્સવો,જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવામાં ડૂબી ગયું છે,કોરોના ની સ્થિતિ માં આયોજન વિનાના લોકડાઉનના કારણે મંદી,મોંઘવારી,બેરોજગારી નો ઈશ્યુ ઉભો થતા હવે જનતા પરેશાન થઈ ગઇ છે.
કોરોના કાળની જો વાત કરવામાં આવે તો પાછલા ૯૦ દિવસમાં જ ભાજપનું આર્થિક ચિત્ર ઉઘાડું પડી ગયું છે,રાજ્ય સરકારની ટેક્સની આવકમાં ઘટાડો થયો છે, ખુદ નાણાં મંત્રીએ GST ની કેન્દ્ર સરકાર પાસે લેવાની નીકળતી રૂ. ૧૨ હજાર કરોડની રકમ ની માંગણી કરી છે.
જોકે કેન્દ્ર સરકારે ગુજરાતને જીએસટીના લેણા પેટે લેવાના નીકળતા ૧૨ હજાર કરોડ નહિ ચુકવીને અન્યાય કર્યો છે,તેમ ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ કહ્યુ હતુ. ગુજરાત સરકારે જીએસટીની આવકમાં મોટા પાયે ઘટાડાનો સ્વીકાર કર્યો છે,૨૦૧૯માં આ સમયગાળા દરમિયાન ૧૩,૭૦૦ કરોડની આવક હતી,જેની સામે આ વર્ષે ૮,૯૦૦ કરોડની આવક એટલે કે ૫ હજાર કરોડની ટેક્સની આવકમાં ઘટાડો થયો છે.
આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે ગુજરાતનું દેવું ૨૦૦૨માં ૪૭,૯૧૯ કરોડ હતું જે વધી માર્ચ ૨૦૧૯માં ૨,૮૮,૯૧૦ કરોડ થયું છે.કોરોના સમયે દેશના દરેક વ્યક્તિને સરેરાશ ૨૭ હજારનું તો ગુજરાતમાં ૪૫,૦૧૮નું નુકસાન થયું છે.ધંધો રોજગાર જ ન હોય તો ટેક્સ ક્યાંથી ભરી શકાય? તે સવાલ છે.રાજ્યમાં વહીવટી ખર્ચ, યોજનાકીય ખર્ચ અને પ્રજાલક્ષી યોજના માટે નાણાં નથી તેમ નાણાંમંત્રી પોતેજ કહી રહ્યા છે,જેનો અર્થ એ છે કે,ગુજરાતની આર્થિક સ્થિતિ સારી નથી,જેનો ભોગ ગુજરાતના સામાન્ય-મધ્યમવર્ગના નાગરિકો બની રહ્યા છે.
જીએસટી-નોટબંધી બાદ માત્ર સુરતમાં ૫૦ હજાર યુનિટો બંધ થયા,બે લાખથી વધુ લોકોની રોજીરોટી છીનવાઈ છે ત્યારે સામાન્ય લોકોને આત્મનિર્ભર બનવાની સલાહ આપીને સરકાર પોતાની ફરજો માંથી છટકી રહી છે અને અસહાય સ્થિતિમાં જીવવા કેમ મજબૂર કરી રહી છે તે સવાલ હવે જનતા માં ચર્ચાઈ રહ્યો છે