નવી દિલ્હી, તા.૨૦: ભારતમાં કોરોના વાયરસની મહામારીના કારણે છેલ્લા ૧૦૦ દિવસો દરમિયાન છૂટક વેપારને લગભગ ૧૫.૫ લાખ કરોડ રૂપિયાના વેપાર નુકસાનનો સામનો કરવો પડ્યો છે.લોકડાઉન ખુલ્યાના ૪૫ દિવસ પછી પણ સ્થિતિ સામાન્ય થઈ શકી નથી.વેપારીઓને નાણાકીય સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્ર અથવા રાજય સરકારો દ્વારા વેપારીઓને કોઈ આર્થિક પેકેજ નહીં મળતા વેપારીઓ નિરાશ છે.
દેશમાં ડોમેસ્ટિક વેપારની વર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કરતા Confederation Of All India Traders ના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે દેશમાં ડોમેસ્ટિક વેપાર તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.છૂટક વેપારીઓની સ્થિતિ પણ સામાન્ય થઈ શકી નથી. જો આ સ્થિતિ હજુ વધુ સમય રહેશે તો સમગ્ર દેશમાં લગભગ ૨૦% દુકાનો બંધ કરવા મજબૂર થવું પડશે.જેના કારણે મોટી સંખ્યામાં બેરોજગારીમાં વધારો થઈ શકે છે.
કોરોના વાયરસના કારણે લોકોમાં એટલો ડર છે કે તેઓ સ્થાનિક બજારમાં ખરીદી કરવા આવી રહ્યા નથી.તેવા લોકો કે જેઓ પાડોશી રાજયો અથવા શહેરોમાંથી સામાન ખરીદી રહ્યા છે તે લોકો પણ કોરોનાનો ડર અને પબ્લિક ટ્રાન્સપોર્ટના અભાવે આવી રહ્યા નથી.આ કારણે દેશમાં છૂટક વેપાર પર ભારે અસર પડી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ તમામ કારણોસર સમગ્ર દેશના બજારમાં સન્નાટો છે.વેપારી સાંજે ૫ વાગ્યાની આસપાસ તેનો વેપાર બંધ કરીને ઘરે જતો રહે છે. પ્રાપ્ત જાણકારી મુજબ માત્ર ૧૦% ગ્રાહકો જ બજારમાં આવી રહ્યા હોવાથી વેપારીઓના વેપાર પર ખરાબ અસર પડી છે.