। અમદાવાદ ।
છેલ્લાં કેટલાંક સમયથી કોરોના વાયરસ વકરી રહ્યો છે અને કેટલાંક દેશોમાં લોકડાઉનને કારણે વિદેશોમાં નિકાસ ભારે ફટકો પડયો છે. ભારતમાંથી થતી નિકાસ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાથી ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. મધ્ય- પૂર્વ, યુરોપીય દેશોમાં જતી ફ્લાઈટો રદ થવાને કારણે ફ્રુટ અને શાકભાજીની નિકાસમાં લગભગ ૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ભારતમાંથી નિકાસ સ્થગિત થવાને કારણે ઉદ્યોગોમાં રોજગારીને માઠી અસર થઈ નથી. કોરોના વાયરસની પ્રારંભિક તબક્કાની અસરને કારણે રોજગારીની તકોને હજુ કોઈ પ્રતિકૂળ અસર થવા પામી નથી. પરંતુ જો કોરોનાને કારણે હજુ ચારેક મહિના સુધી આયાત- નિકાસ બંધ થઈ જાય તો લગભગ ૬ મહિના પછી કર્મચારીઓની છટણી કરવા જેવા પગલાં લેવાની નોબત આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. નિકાસ પ્રતિબંધોને કારણે ફાર્મા સેક્ટરમાં ગુજરાતમાં અંદાજે રૂ. ૧૦૦ કરોડથી વધુની મેડિસીન્સનો માલ સ્થગિત થઈ ગયો છે. જ્યારે ભારતમાંથી ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો અંદાજે રૂ. ૫૦૦ કરોડથી વધુની દવાઓ સ્થગિત થઈ ગઈ છે. ફાર્મા સેક્ટર દેશના વિકાસમાં ડબલ ડિજીટ ગ્રોથ ધરાવતું રહ્યું છે. જો નિકાસ પ્રતિબંધો લાંબા સમય માટે અમલી રહેશે તો ફાર્મા સેક્ટરમાં નેગેટિવ ગ્રોથ જોવા મળે તેવી શક્યતા હોવાનું જાણવા મળે છે. કોરોનાને કારણે કેમિકલ્સ, ડાઈઝની નિકાસમાં ૫.૫૫ ટકાનો વધારો નોંધાયો છે. ઓર્ગેનિક, ઈનઓર્ગેનિક તથા એગ્રી કેમિકલ્સમાં ૩.૧૨ ટકાનો ઘટાડો થયો છે. કોસ્મેટિક્સ અને ટોઈલેટરીઝ, એસેન્શીયલ ઓઈલ્સની નિકાસમાં ૭.૧૮ ટકાનો વધારો નોંધાયો છે. કેસ્ટર ઓઈલ- દીવેલની નિકાસમાં ૬.૬૮ ટકાનો વધારો થયો છે. કોરોના વાયરસને કારણે યુરોપ, મધ્ય- પૂર્વના દેશોની ફ્લાઈટ્સ રદ થઈ છે. જેના કારણે ફ્રુટ અને શાકભાજીની નિકાસમાં લગભગ ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. મર્યાદિત ફ્લાઈટ્સ કરતી એરલાઈન્સ દ્વારા ફ્રુટ અને શાકભાજી લઈ જવા માટેના નૂરમાં લગભગ ૨૫૦ ટકાનો વધારો કરી દીધો હોવાનું જાણવા મળે છે. આમ, દરિયાઈ અને વિમાન માર્ગે થતી ફ્રુટ અને શાકભાજીની નિકાસ માટેના દરમાં નોંધપાત્ર વધારો કર્યો છે.