– રાજકોટના શાસ્ત્રીનગરમાં બનેલો બનાવ
– કોરોનાની દવાની ઝેરી અસરનું નિવેદન આપ્યા પછી સવારે રજૂ કરેલી સુસાઈડનોટમાં વિરોધાભાસ
રાજકોટ : રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોના બનાવો દિન બદિન વધી રહ્યા હોય તેમ રાજકોટમાં આવેલા શાસ્ત્રીનગરમાં આર્થિકભીંસથી પિતા-પુત્ર અને પુત્રીએ સામૂહિક ઝેરી દવા ગટગટાવી હતી.રાત્રીના પોલીસ નિવેદનમાં કોરોનાની દવા પીધા બાદ ઝેરી અસર થયાનું જણાવ્યા બાદ સવારે રજુ કરેલી સ્યુસાઈટ નોટમાં વિરોધાભાસ જોવા મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં નાના મવા રોડ ઉપર આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા કમલેશભાઈ રામકૃષ્ણભાઈ લાંબડિયા (ઉ.40)એ તેમની પુત્રી કૃપાલીબેન કમલેશભાઈ લાંબડિયા (ઉ.22) અને પુત્ર અંકિત કમલેશભાઈ લાંબડિયા (ઉ.21) સાથે રાત્રીના બારેક વાગ્યાના અરસામાં સામુહિક ઝેરી દવા પી લીધી હતી.એક જ પરિવારના ત્રણેય સભ્યોને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના અંગે તાલુકા પોલીસને જાણ થતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ચૌહાણ સહિતની ટીમ સિવિલ હોસ્પિટલમાં દોડી ગઈ હતી.
આ અંગે પોલીસની પ્રાથમિક પુછતાછમાં સામૂહિક ઝેરી દવા પી લેનાર ત્રણેય વ્યક્તિએ જણાવ્યું હતું કે કોરોનાની દવા પીધા બાદ ઝેરી અસર થઈ હતી.બાદમાં હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા કમલેશભાઈ લાંબડિયાએ સવારે રજુ કરેલી સ્યુસાઈટ નોટમાં વિરોધાભાસી ઉલ્લેખ કર્યો હતો.સ્યુસાઈડ નોટમાં મકાન પચાવી પાડ્યુ હોવાથી અને હિતેશ અને ભાવિન નામના બે વ્યક્તિ રૂા.2.12 લાખ લઈને જતા રહ્યા હોવાથી મકાન અને કારના હપ્તા ચડી ગયા હોવાથી સામૂહિક ઝેરી દવા પીધી હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ચૌહાણ સહિતના સ્ટાફે નિવેદન અને સ્યુસાઈડ નોટમાં જોવા મળેલા વિરોધાભાસના પગલે ઝેરી દવા પી લેનાર ત્રણેય વ્યક્તિની પુછપરછ હાથ ધરી કાનુની તપાસનો દોર લંબાવ્યો છે.
ધંધામાં મંદી આવતા દંપતિએ સજોડે ફિનાઇલ પીધું
સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા વિક્રમ મનસુખભાઇ મઠિયા (ઉ.વ.32) અને તેની પત્ની જાગૃતિબેન મઠિયા (ઉ.વ.30)એ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં રેસકોર્સના લવગાર્ડનમાં સજોડે ફિનાઇલ ગટગટાવી લીધું હતું.બંનેને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા.વિક્રમભાઈ ઓનલાઇન વસ્તુઓ વેચવાનો ધંધો કરે છે મિનિ લોકડાઉન અમલી બનતા તેનો ધંધો મંદ પડી ગયો હતો,વિક્રમભાઇ કણકોટ રહેતા તેના મામાના ઘરે શનિવારે પત્ની અને બે બાળકોને લઇને ગયા હતા અને રાત્રીના ત્યાં રોકાણ કર્યું હતું.ધંધાની મંદીની ચિંતાને કારણે લવગાર્ડનમાં જઇ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ફિનાઇલ પીધું ત્યારે તેના બે બાળક બાજુમાં રમતા હતા અને માતા-પિતા અર્ધબેભાન થઈ ઢળી પડ્યા હતા.આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.