50 કરોડથી વધુ વસતીને લાભ મળશે
એજન્સી, નવી દિલ્હી
કોરોના મહામારી અને તેના ચેપની તપાસ તથા સારવારને લઇને સરકારે મહત્વનો અને રાહત આપતો નિર્ણય લીધો છે. જે હેઠળ કોરોના વાયરસ ચેપની તપાસ અને સારવાર આયુષ્માન ભારત-વડાપ્રધાન જન આરોગ્ય યોજના (AB-PM JAY) હેઠળ કરવામાં આવશે. આ પહેલા જ સરકારી હોસ્પિટલોમાં કોરોના ચેપની તપાસ અને સારવાર મફતમાં કરવામાં આવી રહી છે. હવે આ નિર્ણયથી યોજના હેઠળ આવતી દેશની 50 કરોડથી વધારે વસતી ખાનગી લેબ્સ દ્વારા કોરોનાની મફત તપાસ કરાવી શકશે. આ યોજના હેઠળ આવતા હોસ્પિટલ્સમાં કોરોના ટેસ્ટ અને સારવાર મફત કરવામાં આવશે.
AB-PM JAY હેઠળ આવતી તમામ હોસ્પિટલ્સ તેના ધારણે ટેસ્ટિંગ સુવિધાનો લાભ આપી શકે છે. તેમની પાસે અધિકૃત ટેસ્ટિંગ ફેસિલિટીની મદદ લેવાનો વિકલ્પ પણ ખોલવામાં આવ્યો છે. કોરોનાનો ટેસ્ટ ICMR હેઠળ જ થશે.
દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતા સરકારે ટેસ્ટિંગ અને સારવાર સુવિધાઓ પૂરી પાડવાના હેતુસર આ નિર્ણય લીધો છે.
જોકે આ ટેસ્ટે એ જ ખાનગી લેબ્સમાં કરવામાં આવશે જેમની પાસે RNA વાયરસની PCR તપાસ માટે NABLની માન્યતા હશે તથા ક્વોલિફાઇડ ડોક્ટરની સલાહ પર જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.