– મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક પણ વધીને 3060 સુધી પહોંચી ગયો
નવી દિલ્હી : લોકડાઉન દરમિયાન અને અનલોક ભારતમાં કોરોના સંક્રમણના કેસો બેફામ વધી રહ્યા છે,તાજેતરના આંકડા જોઇએ તો કુલ કેસો વધીને 2,56,611 સુધી પહોંચી ગયા છે,જ્યારે કુલ 7135 લોકો સંક્રમણને લીધે જીવ ગુમાવી બેઠા છે.આ દરમિયાન સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર પણ કોરોના સંક્રમણ સામે સતત લડત આપી રહ્યુ છે.મહારાષ્ટ્રમાં COVID-19ના કુલ 86,000ની નજીક કેસ સામે આવી ચૂક્યા છે.આ આંકડો કોરોના વાયરસના ઉદભવ સ્થાન ચીનથી પણ વધી ગયો છે.ચીનમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડો 83,000 સુધી પહોંચ્યો હતો,જે પછી ચીની સરકારે કોરોના પર કાબૂ મેળવવા માંડ્યો હતો.જોકે ચીન પર આંકડાઓ ખોટા દર્શાવવાના આરોપ સતત લાગી રહ્યા છે.
રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 3007 નવા કેસ સામે આવ્યા હતા.એક દિવસમાં નવા કેસોનો આ સૌથી મોટા આંકડો હતો.જે પછી રાજ્યમાં કુલ કેસ વધીને 85,975 થયા છે, જ્યારે 3060 લોકો દમ તોડી ચૂક્યા છે.કુલ કેસ પૈકી 39,314 દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે જ્યારે 43,591 સક્રિય કેસ છે.
બીજી તરફ કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી લીધો હોવાનો દાવો કરનાર ચીનમાં પણ સંક્રમણના 6 નવા કેસ સામે આવ્યા છે,પરંતુ ચીની સ્વાસ્થ વિભાગ મુજબ આ તમામ દર્દીઓ વિદેશોમાંથી કોરોના સંક્રમણ લઇને ચીન આવ્યા છે.ચીનમાં અત્યાર સુધી 4634 લોકો કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે.