– 27 બેઠક જીતવા સાથે વિજય રેલી કાઢ્યા બાદ આપ હવે ભાજપ પર આક્ષેપ કરે છેઃ રાજકારણીઓના પાપે પ્રજાનો ખો નિકળી રહ્યો છે
સુરત, તા. 19 માર્ચ : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સ્તાનિક સ્વરાજ્યની ચુંટણીમાં રાજકીય પક્ષોએ કરેલા તાયફાના કારણે કોરોના વકરી રહ્યો છે.રાજકારણીઓએ કરેલા પાપના કારણે હાલ પ્રજાનો ખો નિકળી રહ્યો છે.ત્યારે રાજકારણીઓ લાજવાના બદલે એક બીજા પર કાદવ ઉછાળ પ્રવૃત્તિ કરી રહ્યાં છે.
માસ્ક વિના રેલીઓ કાઢનારા મેયર વાનમાં જતાં લોકોને તતડાવી રહ્યાં છે.તો બીજી તરફ 27 બેઠક જીતીને મોટુ વિજય સરઘસ કાઢનારા આમ આદમી પાર્ટી ભાજપને જવાબદાર ગણી રહી છે.સુરતમાં ભાજપ-આપે માસ્ક સોશ્યલ ડિસ્ટન્સ વિના રેલીઓ કાઢી હતી પરંતુ હવે એક બીજા સામે આક્ષેપ બાજી કરી રહ્યાં છે.
સુરતમાં છેલ્લા બે દિવસથી ત્રણસોથી વધુ કેસ આવી રહ્યાં છે અને તેના માટે માત્ર પ્રજા જ જવાબદાર હોય તેમ તંત્ર આકરા પગલા ભરી રહ્યું છે.સુરત મ્યુનિ.ની ચુંટણીમાં ભાજપ અને આપે મોટા રોડ શોકર્યા હતા આટલું જ નહીં પરંતુ ચુંટણી પ્રચાર માટે કોવિડના નિયમોનો ભંગ કરીને અનેક સભાઓ કરી હતી.મ્યુનિ.ના ચુંટણી પરિણામ બાદ આપ અને ભાજપે મોટા વિજય સરઘસ કાઢ્યા હતા તેનું પરિણામ હાલ સુરત ભોગવી રહ્યું છે.સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થવા પાછળ રાજકારણીઓ જ જવાબદાર હોવાનું લોકો કહી રહ્યાં છે અને મોટા ભાગના અંશે તે સાચું પણ છે.
જોકે, સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં મ્યુનિ.તંત્રએ બસ સેવા બંધ કરાવવા સાથે કરફ્યુના સમયમાં પણ વધારો કરી દીધો છે.આ મુદ્દે સોશ્યલ મિડિયામાં પ્રચાર કરતી આમ આદમી પાર્ટીએ સત્તાના નશામાં ભાજપ ભાન ભુલી અને ધંધા રોજગારમાં થઈ રહી છે જનતા હેરાનની વાત કરીરહી છે.
ભાજપના નેતાઓ તાયફા કરે છે તેની સામે કોઈ કામગીરી થતી નથી અને લોકોને હેરાન થાય છે. આપની આ વાત સાચી છે કે ભાજપના નેતાઓ તાયફા કરે છે અને તેમની સામે કોઈ કામગીરી થતી નથી. બીજી તરફ ચુંટણીમાં ભીડ ભેગી કરનારા મેયર રાત્રીના સમયે વાહનોનું ચેકીંગ કરીને લોકોને ખકડાવતાં નજરે પડે છે તે પણ એક પ્રસિધ્ધિની ભુખ જ છે.
જોકે, બીજી તરફ સુરતમાં કોરોના ફેલાવવા માટે ભાજપની સાથે આમ આદમી પાર્ટી પણ જવાબદાર છે. પાલિકામાં ૨૭ બેઠક આવ્યા બાદ સુરતમાં આપના કેજરીવાલની રેલી સાથે મોટું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં પણ હજારો લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિનાના હતા તેના કારણે પણ સંક્રમણ વધ્યું છે અને પાલિકા કે પોલીસે ભાજપની જેમ આપ સામે પણ કોઈ કામગીરી કરી નથી.
રાજકારણીઓ પોતાના સ્વાર્થ અને પ્રચાર માટે મોટી ભીડ ભેગી કરતાં હતા તેઓ હવે એક બીજા સામે કાદવ ઉછાળ પ્રવત્તિ કરીને આક્ષેપબાજી કરી રહ્યાં છે. રાજકીય પક્ષો પોતાની પ્રસિધ્ધિ માટે રેલીઓ કાઢી હતી હવે પ્રસિધ્ધિ માટે એક બીજા સ ામે આક્ષેપ બાજી કરી રહ્યાં હોવાથી લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.