– દેશની હોસ્પિટલોમાં હાલ વધુ જરુર છે ત્યારે
– બે દિવસ પહેલા જ આ સામાન અમારા દેશમાં પહોંચ્યો : સર્બિયાના ટ્વીટથી ખુલાસો
નવી દિલ્હી,
દેશમાં જ્યારે કોરોના વાઇરસ ફેલાઇ ચુક્યો છે અને હવે મેડિકલ ક્ષેત્રે અતી મહત્વની વસ્તુઓ જેવી કે વેન્ટિલેટર, ડોક્ટર અને નર્સ માટે પુરતા માસ્ક અને શરીરના વાઇરસથી બચાવવા માટેના વિશેષ કપડાની જરુર ઉભી થઇ છે. ત્યારે બીજી તરફ એક ખુલાસો થયો છે જેમાં દાવો કરાયો છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રની અતી મહત્વની હજારો ટન વસ્તુઓ, વિવિધ મહત્વના સાધનોની બહુ મોટી માત્રમાં અન્ય દેશોમાં નિકાસ કરી દેવામાં આવી હતી.
એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કોરોના વાઇરસના સંકટમાં જ્યારે સ્વાસ્થ્ય ક્ષેત્રની વિવિધ વસ્તુઓની જરુર છે ત્યારે જ ભારતે ૯૦ ટન મેડિકલ સાધનો તેમજ વાઇરસથી સુરક્ષા માટેની વિવિધ મહત્વની વસ્તુઓની નિકાસ કરી હતી.આ નિકાસ યુરોપના દેશ સર્બિયામાં કરવામાં આવી હતી. આ માહિતી ત્યારે સામે આવી હતી જ્યારે સર્બિયા સાથે સંકળાયેલા યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આ અંગે માહિતી આપતા ટ્વીટ કરી હતી.
આ ટ્વિટમાં સર્બિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે બોઇંગ ૭૪૭ કાર્ગો ૯૦ ટન મેડિકલ સામાન લઇને પહોંચ્યું છે, આ વિમાન ભારતથી આવ્યું હતું. જે ૯૦ ટન મેડિકલ સામાન છે તેમાં ૫૦ ટન સર્જિકલ ગ્લોઝ, માસ્ક, કવરોલ્સ પણ સામેલ હતા જેની હાલ દેશમાં અત્યંત જરુર છે. કોચી એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સામાન ૨૯મી માર્ચે રવાના કરાયો હતો, જેમા પણ હાલ જે વસ્તુઓની દેશના ડોક્ટરોને જરુર છે તેનું પ્રમાણ જ વધુ હતું. સમગ્ર મામલો બહાર આવ્યા બાદ હવે સવાલો ઉઠી રહ્યા છે કે કેન્દ્ર સરકાર શુ કરી રહી છે? દેશમાં એક તરફ મેડિકલ ક્ષેત્રે કોરોના વાઇરસ સામે જજુમી રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ પગલું લેવાતા સરકારની નિંદા થઈ રહી છે.