ગાંધીનગર : મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં 60 ટકાથી વધુ કોરોનાના કેસ છે.કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે તો ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવશે.ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સતત પ્રજાના હિતમાં અનેકવિધ પગલાં-નિર્ણય કરી રહી છે.ત્યારે કોરોનાની ટેસ્ટિંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા મુખ્યમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્પોરેશનના ચૂંટાયેલા પદાધિકારીઓ-અધિકારીઓને ગાંધીનગરથી અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યના આઠ મહાનગરપાલિકાઓમાં કોરોનાની કામગીરીની સમીક્ષા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,કોરોના મહામારી ગુજરાત તથા ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહી છે.ભારતમાં ગઈકાલે એક જ દિવસમાં 1,60,000 નવા કેસ નોંધાયા છે.ગુજરાતમાં અગાઉ દૈનિક 300 કેસને બદલે અત્યારે 6000થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે.એટલે કે થોડા સમયમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે.કોરોનાની પહેલી લહેરમાં લૉકડાઉન દરમિયાન હોસ્પિટલો, સારવારની વ્યવસ્થા, દવાઓ, ડૉકટર અને મેડિકલ સ્ટાફ તેમજ શ્રમિકોના અનેક પ્રશ્નો આપણી સામે હતા જ્યારે અત્યારે કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે તેના પર નિયંત્રણ લાવવા માટે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો, હોસ્પિટલોમાં નવા બેડ,ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા, રેમડેસિવિર ઈન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે ત્યારે અનેક પડકારો ઝીલીને આપણે સાથે મળીને સંક્રમણ આગળ વધતુ અટકાવવું પડશે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નવા ચૂંટાયેલા પદાધિકારીઓ-પ્રતિનિધિઓ માટે કોરોના કાળમાં સેવા કરવાની ઉત્તમ તક છે તે જવાબદારી આપણે નિભાવવાની છે.છેલ્લાં 15 દિવસમાં ગુજરાતમાં સરકારે દિવસ-રાત એક કરીને કોરોનાન નિયંત્રણ અને કોઈ સંક્રમિત સારવાર વિનાનો ન રહે તે માટે 18000 નવા કોરોના બેડ ઉભા કર્યાં છે.ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે વિવિધ હોસ્પિટલોને મંજૂરી,રેમડેસિવિર ઈન્જેક્શન,વેક્સિનેશન તેમજ મેડિકલ સ્ટાફ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં કરી છે.
તેમણે કહ્યું હતુ કે, કોરોના સામે જંગ લડવા સખત પરિશ્રમ કરીને વિવિધ સંસ્થાઓ, સમાજ, સંતો અને સેવાભાવી લોકોને જોડવા પડશે.આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ એટલે ફરિયાદી નહીં પરંતુ જવાબદાર બનીએ.પ્રશ્નો તો આવશે જ પ્રશ્નોથી ગભરાવવાની જરૂર નથી પણ સાથે મળીને તેનો હકારાત્મક ઉપાય શોધવાનો છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં મર્યાદિત કંપનીઓ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવે છે તેમ છતાં પણ આપણે અન્ય રાજ્યો એટલે આસામ અને મુંબઈ જેવાં શહેરોમાંથી દૈનિક 20,000 ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવીએ છીએ.આપણે અત્યારે રેમડેસિવિર ઈન્જેક્શન માટે સરકારી હોસ્પિટલોમાં પ્રથમ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલોની પ્રાયોરિટી નક્કી કરવી પડશે.જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા લોકોને જ રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર પડતી હોય છે એટલે બિનજરૂરી રેમડેસિવિરનો ઉપયોગ ન કરે તો જરૂરી છે.
તેમણે કહ્યું હતુ કે, દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ 94 ટકાથી ઉપર હોય તો હોમ આઈસોલેશનમાં રહેવુ જોઈએ.અગાઉ ગુજરાતમાં ઓક્સિજનની જરૂરિયાત 250 ટન હતી જે વધીને 600 ટન સુધી પહોંચી છે.એટલે સ્વાભાવિક રીતે ઓક્સિજન માંગ વધી છે. તેમણે કહ્યું હતુ કે,અગાઉ ગુજરાતમાં 50,000 કોરોના ટેસ્ટ કરાતા હતા જે આજે વધીને 1,30,000 કરવામાં આવે છે.ગુજરાતના મોટા શહેરોમાં સંજીવની રથ,ધન્વતંરી રથ અને 104 હેલ્પલાઈનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે.જે વિસ્તારમાં પાંચથી વધુ કોરોનાના કેસ આવે તે વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવે છે.જેથી સંક્રમણ અટકાવી શકાય.તેમણે કહ્યું હતુ કે,ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા 24માંથી 11 કલાક કોરોના કર્ફ્યૂનો કડક અમલ કરાવવામાં આવે છે.એટલે લોકો બિન જરૂરી બહાર ન નીકળે તે ખૂબ જરૂરી છે.
તેમણે મહાનગરપાલિકાઓના કમિશનરોને સૂચના આપી હતી કે,પદાધિકારીઓ સાથે સમયાંતરે બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા અવશ્ય કરવી જોઈએ.જન ભાગીદારી તથા એકબીજાના સહયોગથી જ સમસ્યાનો ઉકેલ લાવી શકાશે.જે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે તેવા શહેરોમાં બેડની સુવિધા,ઓક્સિજન,વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જકેશન જેવી જરૂરી તમામ સુવિધાઓ વધારવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતુ.
આ ઉપરાંત મહાનગરોમાં 45 વર્ષથી વધુ વયના મહત્તમ લોકો રસી મુકાવે તે સુનિશ્ચિત કરવું પડશે.આપણે કોરોનાથી ડર્યા વિના માસ્ક પહેરી,સામાજિક અંતર રાખી સાવચેતી સાથે આગળ વધીશું તો આપણે ચોક્કસ ગુજરાતમાંથી કોરોનાને હરાવીશું તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે કોરોના નિયંત્રણ માટે અનેકવિધ નવા નિર્ણયો કરવામાં આવ્યા છે તેનું સંપૂર્ણ પાલન થાય તે જોવાની જવાબદારી પણ આપણી એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે.ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કોરોના કાળમાં પ્રજાની વચ્ચે રહીને સેવા કરવાનો પણ મુખ્યમંત્રી અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ,હાઉસિંગ વિભાગના સચિવ તેમજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ,રાજકોટ,વડોદરા, સુરત,ગાંધીનગર,ભાવનગર,જામનગર અને જૂનાગઢના મેયર,પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરો,અધિકારીઓએ જોડાઇને કોરોનાની કામગીરી અને નિયંત્રણ અંગે ચર્ચા વિચારણા કરી હતી.