– પીએમ મોદીની બેઠકમાં ક્રિપ્ટોકરન્સી મુદ્દે ચર્ચા
– ક્રિપ્ટોકરન્સીની બીન પારદર્શક અને યુવાનોને લલચાવતી જાહેરાતો પર પગલાં લેવા કેન્દ્રની તૈયારી
નવી દિલ્હી, તા. ૧૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે ક્રિપ્ટોકરન્સી મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનિયંત્રિત ક્રિપ્ટોબજારોને મની લોન્ડરિંગ અને ટેરર ફાઈનાન્સિંગનો સ્રોત બનવા નહીં દેવાનો નિર્ણય લેવાયો હતો.ક્રિપ્ટોકરન્સી મુદ્દે આ બેઠકમાં અનેક પાસાઓ પર ચર્ચા કરાઈ હતી.આ બેઠકમાં ક્રિપ્ટોકરન્સી મુદ્દે યુવાનોને ગેરમાર્ગે દોરતી અત્યંત લલચામણી અને બીનપારદર્શક જાહેરાતો પર ચિંતા વ્યક્ત કરાઈ હતી તેમજ આ જાહેરાતો પર નિયંત્રણ લાદવા પગલાં લેવાનો નિર્ણય કરાયો હતો.આરબીઆઈ,નાણામંત્રાલય,ગૃહમંત્રાલયે ભૂતકાળમાં ક્રિપ્ટોકરન્સી મુદ્દે દેશ અને દુનિયાના નિષ્ણાતો સાથે આ અંગે વ્યાપક ચર્ચા-વિચારણા કરી છે.દુનિયામાં ક્રિપ્ટોકરન્સીના ઉદાહરણો અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિનો પણ અભ્યાસ કરાયો છે.ત્યાર પછી વડાપ્રધાન મોદીએ પોતે જ આ બેઠક બોલાવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારને એ બાબતનો ખ્યાલ છે કે ક્રિપ્ટોકરન્સી એક વિકસિત ટેકનિક છે.તેથી સરકાર તેના પર ચાંપતી નજર રાખશે અને સક્રિય પગલાં લેશે.આ બેઠકમાં એ બાબતે પણ સહમતી થઈ હતી કે સરકાર આ ક્ષેત્રમાં પ્રગતિશીલ અને દૂરદર્શીવાળા પગલાં લેશે.સરકાર નિષ્ણાતો અને અન્ય હિસ્સેદારો સાથે સક્રિયરૂપે ચર્ચા ચાલુ રાખશે.આ મુદ્દો અલગ અલગ દેશોની સરહદો સાથે જોડાયેલો હોવાથી તેના માટે વૈશ્વિક ભાગીદારી અને સામૂહિક રણનીતિ પર પણ ચર્ચા કરાશે.