નવી દિલ્હી, તા. 04 મે 2022, બુધવાર : ઘણી વખત લોકો નોકરી મેળવવા માટે પોતાનો ગુનાહીત ભૂતકાળ છુપાવતા હોય છે.તેનું કારણ એ છે કે, અનેક કંપનીઓ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા કર્મચારીઓને નોકરી પર નથી રાખતી.કંપનીને પોતાના કર્મચારીના આ પ્રકારના કોઈ પણ રેકોર્ડની જાણ થાય તો તે તરત જ તેને ફાયર કરી દે છે.એટલે કે, નોકરીમાંથી કાઢી મુકે છે.જોકે હવે કંપનીઓ આ પ્રકારના પગલાં નહીં ભરી શકે.એક કેસની સુનાવણી દરમિયાન દેશની સર્વોચ્ય અદાલતે જણાવ્યું કે, કંપનીઓ ફક્ત ગુનાહીત રેકોર્ડ છુપાવવાના આધાર પર પોતાના કર્મચારીઓને નોકરીમાંથી ન કાઢી શકે.હકીકતે દિલ્હી હાઈકોર્ટે આ મામલે કોન્સ્ટેબલ પવન કુમારને બરતરફ કરવાની માગણીને મંજૂરી આપી દીધી હતી.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કર્મચારીઓને કાઢી મુકવા માટે માત્ર ક્રિમિનલ રેકોર્ડ છુપાવવાનું કે ખોટી જાણકારી આપવાનું કારણ પૂરતું નથી. કંપની આ આધાર પર કોઈ પણ કર્મચારીને સેવામાંથી બરતરફ ન કરી શકે.હકીકતે સુપ્રીમ કોર્ટે રેલવે સુરક્ષા દળમાં કોન્સ્ટેબલના પદ પર તૈનાત પવન કુમારની અરજી પર સુનાવણી કરી હતી. કોન્સ્ટેબલ પવન કુમારને RPFમાં કોન્સ્ટેબલના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે ટ્રેઈનિંગ દરમિયાન તેમને એ આધાર પર હટાવી દેવાયા હતા કે, ભૂતકાળમાં તેમના વિરૂદ્ધ કોઈ કેસમાં FIR દાખલ થયેલી.