શાકમાર્કેટ, કરિયાણા અને દૂધની દુકાનોના સમય નક્કી કરાયા
– સંક્રમણથી બચો : જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ રહેઠાણની નજીકમાંથી જ મેળવવાની રહેશે
નડિયાદ
– કોરોના વાયરસન સંક્રમણને અટકાવવા માટે તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ સમયસર પ્રજાજનોને મળે તે માટે જિલ્લા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી હતી. તમામ બાબતે સ્પષ્ટ આદેશો જાહેર કર્યા છે. જેમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ માટેની દુકાનો અને બજારો કયા સમયે ખુલ્લા રહેશે. લોકોએ ઘરની નજીકમાંથી જ આ વસ્તુની ખરીદી કરવી, તેમજ આ ખરીદી કરવા જવા માટે ટુ-વ્હિલરનો ઉપયોગ કરી શકાશે નહીં.
જિલ્લા કલેક્ટર કચેરીમાં અધિકારીઓ અને સ્ટોક હોલ્ડર સાથે મીટિંગ યોજાઇ હતી. મીટિંગ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, તમામ પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, નડિયાદ પાલિકા એ.પી.એમ.સી. (વેજીટેબલ) પીપલગના પ્રતિનિધિ, કરિયાણા એસોસીએશનના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. સંક્રમણને અટકાવવા માટે નાગરિકોની હેરાફેરીને નિયંત્રીત કરાય તે જરૂરી છે. કેટલાક નાગરિકો દ્વારા આવશ્યક ચીજવસ્તુની ખરીદીના બહાને બિનજરૂરી હેરફેર કરાતી હોવાની બાબત ચર્ચા કરી તે અટકાવવાનું જરૂરી હોવાનું જણાવાયું હતું. જેથી કડક આદેશ કરાયા છે. જેમાં પીપલગ શાક માર્કેટ બપોરના ૧૨થી રાત્રિ ૮ કલાક સુધી જ ચાલુ રહેશે. તમામ વેપારીઓને જરૂરી ઓળખકાર્ડ એ.પી.એમ.સી. દ્વારા અપાશે. શાકભાજીના વાહનો માટેના પાસ સંબંધિત મામલતદાર દ્વારા ઇસ્યૂ કરાશે, સંતરામ મંદિર શાકમાર્કેટ સવારના ૫થી બપોરના ૧ કલાક સુધી જ ચાલુ રહેશે. આ વેપારીઓ જથ્થાબંધ માર્કેટમાંથી સાંજે ૫થી ૮ કલાક દરમિયાન જરૂરી જથ્થો મેળવી શકશે. નડિયાદ શહેરમાં કરિયાણું, પ્રોવિઝન, અનાજની દુકાનો સવારના ૭ કલાકથી બપોરના ૧ કલાક સુધી જ ચાલુ રહેશે. આવા દુકાનદારો તેમના સ્ટાફ માટેના પાસ મામલતદાર કચેરીથી મેળવી લેવાના રહેશે. શહેરમાં દૂધ પાર્લર અને ડેરીઓ સવારના ૭થી બપોરના ૧ કલાક અને સાંજે ૫થી ૭ કલાક સુધી વિતરણ કરી શકશે. પીપલગ એ.પી.એમ.સી. દ્વારા અલગ અલગ ૧૦ જેટલી જગ્યાએ વાહનો ઉભા રાખી શાકભાજીનું વેચાણ કરાશે. શાકભાજી, કરીયાણું દુધ લેવા જનાર નાગરિકોએ રહેઠાણની નજીકની ઉપલબ્ધ જગ્યાએથી આવી ચીજવસ્તુ મેળવવાની રહેશે. તે માટે ટુ-વ્હીલરનો ઉપયોગ થઇ શકશે નહીં.