નવી દિલ્હી : ખાદ્યતેલ વ્યાપાર સંગઠન SEAએ સોમવારે કહ્યું હતું કે મલેશિયા અને ઈન્ડોનેશિયા સાથે ભારતે 2010માં કરેલા કરાર પૂરા થઈ રહ્યા છે ત્યારે ભારતે હવે સોયાબીન,સૂર્યમૂખી અને ક્રૂડ પામ ઓઈલ પર કસ્ટમ્સ ડ્યૂટી વધારવી જોઈએ જેથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે.સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)એ આ ઉપરાંત સરકાર સમક્ષ માગણી કરી છે કે રિફાઈન્ડ પામ ઓઈલ (પામોલીન)ની આયાત પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.
એસોસિએશને કહ્યું હતું કે આ કેટલાક ટૂંકા ગાળાના પગલાં સૂચવવામાં આવ્યા છે,જેનાથી ભારત ખાદ્યતેલ મામલે આત્મનિર્ભર બની શકશે. એસોસિએશનના પ્રેસિડેન્ટ અતુલ ચતુર્વેદીએ કહ્યું હતું કે કોઈપણ દેશને તેના ખાદ્યતેલના 70 ટકા વપરાશની આયાત થાય તે પરવડે નહીં.પ્રાથમિકતાના ધોરણે આ સ્થિતિ સુધારવી જરૂરી છે.તેમણે કહ્યું હતું કે ખાદ્યતેલ પર છેલ્લાં અનેક વર્ષોથી ઓછી આયાત ડ્યૂટીને કારણે આપણા ખેડૂતો તેલિબિયાની ખેતી જ બંધ કરવા લાગ્યા છે.તેલિબિયા ઉત્પાદન ઘટી રહ્યું છે,પરંતુ વપરાશ ખાસ્સો વધી ગયો છે.વપરાશ વાર્ષિક 3-4 ટકાના દરે વધી રહ્ય છે.
ભારતે મલેશિયા અને ઈન્ડોનેશિયા સાથે 2010માં કરાર કર્યા હતા જે અંતર્ગત ભારત ડ્યૂટી વધારી શકતું નથી.પણ સારા સમાચાર એ છે કે હવે આ કરારનો સમયગાળો પૂરો થઈ રહ્યો છે,જેથી ભારત ડ્યૂટી વધારી શકશે. SEAએ સૂચન કર્યું છે કે સરકારે સોયા અને સનફ્લાવર ઓઈલ પર આયાત ડ્યૂટી વધારીને 45 ટકા કરી દેવી જોઈએ.હાલમાં આ ડ્યૂટી 37.5 ટકા છે. ક્રૂડ પામ ઓઈલ પરની ડ્યૂટી 50 ટકા કરી દેવી જોઈએ અને પામોલીન પરની આયાત પર પ્રતિબંધ જ મૂકી દેવો જોઈએ.ચતુર્વેદીએ કહ્યું હતું કે ઉપરોક્ત પગલાં લેવાશે તો સ્થાનિક બજારમાં તેલિબિયાના ભાવ વધશે અને તો જ ખેડૂતો તેલિબિયાની ખેતી વધારશે.રિફાઈન્ડ પામ ઓઈલ પર પ્રતિબંધ મુકાશે તો ભારતીય રિફાઈનિંગ ઈન્ડસ્ટ્રીમાં અનેક નોકરીઓ બચી જશે.આ ઈન્ડસ્ટ્રીની હાલની કેપિસિટી યુટિલાઈઝેશન માત્ર 30 ટકા છે.આયાત ડ્યૂટી વધારવામાં આવશે તો તેનો બીજો એ પણ ફાયદો થશે કે રાઈસ બ્રાન, કપાસિયા અને ટ્રી બોર્ન ઓઈલસિડ્સ જેવા બિનપરંપરાગત ઓઈલ સ્રોત પણ વધશે.
SEAએ આ સાથે જ તેલિબિયા મિશન લોન્ચ કરવાની પણ માગણી કરી હતી અને આ સેક્ટરમાં ખાનગી કંપનીઓને પ્રવેશવા માટેની તરફેણ કરી હતી. એસોસિએશને આઆ સાથે જ પંજાબ અને હરિયાણામાં ખેડૂતો તેમની જમીન પર ખરીફ સિઝનમાં મકાઈ કે સૂર્યમૂખીનો પાક લે અને રવિ સિઝનમાં સરસવનો પાક લે તે માટે પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારોને તાકીદ કરવા પણ સૂચન કર્યું છે.તેમણે કહ્યું કે આ રાજ્યોમાં ઘઉં-ચોખાની સાઈકલ હવે તૂટવી જોઈએ અને 25 ટકા જમીન પર અન્ય પાક ઊગાડવા જોઈએ.કારણ કે ઘઉં-ચોખાનું ઉત્પાદન વધુ પડતું થાય છે, જ્યારે તેલના મામલે આપણે આયાત કરવી પડે છે.તેમણે ઉમેર્યું કે ખેડૂતોને સારા ભાવ મળે તેનું ધ્યાન રાખવું જોઈએ અને તેમને આ પ્રકારની ડાઈવર્સિફાઈડ ખેતી માટે પ્રોત્સાહન આપવું જોઈએ.આ માટે ખાનગી ક્ષેત્રની મદદ લેવી જોઈએ.તેમણે કહ્યું કે વિશ્વના અન્ય દેશોની જેમ આપણે ત્યાં પામને પ્લાન્ટેશન ક્રોપ તરીકે ગણવામાં નથી આવતું,જે દુર્ભાગ્યની વાત છે. તેને કારણે ખાનગી કંપનીઓ તેનું પ્લાન્ટેશન કરી શકતી નથી.
ભારત સરકારના સ્ટડી અનુસાર દેશમાં 20 લાખ હેક્ટર જમીન પર પામ કલ્ટિવેશન(ખેતી)ની સંભાવના રહેલી છે. તેની સામે માત્ર 3 લાખ હેક્ટર જમીન પર જ તેની ખેતી થાય છે.આ ક્ષેત્રે વ્યાપક તક રહેલી છે.પામ ઓઈલનો પાક હેક્ટર દીઠ 4 ટનનો થાય છે,જે તમામ તેલિબિયામાં સૌથી વધારે છે. વળી,તેના કારણે આપણી આયાત પણ ઘટશે. ભારતમાં પામ ઓઈલ ઉત્પાદનની 80 લાખ ટનની ક્ષમતા છે,જેની સામે હાલમાં માત્ર 2.5 લાખ ટન પામ ઓઈલનું ઉત્પાદન થાય છે.આવતા ચાર વર્ષ સુધી દર વર્ષે ઓછામાં ઓછા 10 લાખ હેક્ટર વિસ્તારમાં પામની ખેતીનો લક્ષ્યાંક નક્કી કરવો જોઈએ તેમ તેમણે કહ્યું હતું.