રોમ (ઈટલી) તા.28 : ખાલિસ્તાન સમર્થકોએ ભારતના દુતાવાસની બિલ્ડીંગમાં તોડફોડ કરી હતી.ખાલિસ્તાનના ઝંડા લહેરાવ્યા હતા અને દિવાલ પર ખાલિસ્તાનનાં સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા.જેની સામે ભારતે વિરોધ નોંધાવી ઈટલી સરકાર સામે ચિંતા વ્યકત કરી અપરાધીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.
આ અંગેની વિગત મુજબ ખેડુતોના નામે ભારત વિરોધી એજન્ડા ચલાવી રહેલા ખાલિસ્તાની સમર્થકોએ 26 મી જાન્યુઆરીએ રોમમાં ભારતીય દુતાવાસ પર જોરદાર ઉત્પાત મચાવ્યો હતો અને ભારત વિરોધી નારા લગાવ્યા હતા.ખાલીસ્તાની સમર્થકોએ ભારતીય દુતાવાસની બિલ્ડીંગમાં ખાલિસ્તાનનાં ઝંડા લહેરાવ્યા હતા.આ મામલે ભારતે ઈટલી સરકારને માહિતગાર કરી ઉપદ્રવીઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે.ભારતીય રાજદુતો અને દુતાવાસની સુરક્ષાની જવાબદારી યજમાન સરકારની છે.ભારતે આશા વ્યકત કરી હતી કે ઉપદ્રવીઓ સામે ઈટાલીયન સરકાર કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી રોકશે.