ખેડામાં નાયબ મામલતદારનું ઘરમા આકસ્મિક મોત થયુ છે.જેમાં ઘરના લોકો બહારગામ ગયા હોવાથી તેઓ ઘરમા એકલા જ રહેતા હતા.તેમાં બાથરૂમમાંથી મૃતદેહ મળતા આસપાસના લોકોમાં ચકચાર મચી છે.
પરેશભાઈ મકવાણા વસોમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા
નડિયાદ મંજીપુરા રોડ પરની બાલાજી સોસાયટીમાં રહેતા 43 વર્ષીય પરેશભાઈ મકવાણા વસોમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.પરેશભાઈ રોજ નડિયાદથી વસો ફરજ પર જતા હતા.પરંતુ 24મી ડિસેમ્બરથી 27 ડિસેમ્બર વચ્ચે તેમના મકાન પર કોઈ ચહલપહલ જોવા મળી નહોતી,અને તેમના પરીજનો પણ પ્રવાસે નિકળી ગયા હતા.જેને લીધે પરેશભાઈ આ સમય દરમિયાન ઘરમાં એકલા જ હતા.
મૃતદેહનુ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું
પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તેમને સંતાનમાં એક નાની આશરે 11 વર્ષની દીકરી છે.પરેશભાઈની પત્ની અને સંતાન સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા હતા. દરમ્યાન ઘરે એકલા પરેશભાઈનું આકસ્મિક મોત નીપજ્યું છે.પરેશભાઈની અવરજવર ન દેખાતા સૌપ્રથમ ઘટનાની જાણ પાડોશીઓને થઈ હતી અને પાડોશીઓએ પરેશભાઈ બે દિવસથી ઘરમાંથી બહાર ન નીકળતા તપાસ કરતા બાથરૂમમાંથી પરેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.હાલ મૃતક નાયબ મામલતદારના મૃતદેહનુ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
પોલીસે અપમૃત્યુનો કેસ નોંધી તપાસ હાથ ધરી
ખેડા જીલ્લાના વસો તાલુકાના નાયબ મામલતદારનું ઘરમા આકસ્મિક મોત થયું હોવાની માહિતી મળી રહી છે.નાયબ મામલતદાર બે દિવસથી ઘરમાંથી બહાર ન નિકળતા પડોશીઓએ તપાસ કરતા બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.હાલમાં પોલીસે અપમૃત્યુનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે.