કોરોનાના કારણે શેરડી સહિતના પાકોના ભાવમાં ખેડૂતોને પડેલા ફટકામાંથી બહાર આવ્યા નથી ત્યાં ખાતરનું ઉત્પાદન કરતી વિવિધ કંપનીઓએ ભાવમાં આઝાદી પછી સૌથી મોટો એક ગુણે રૃા.૭૦૦ સુધીનો વધારો કરી દીધો છે.વડાપ્રધાનનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્નું એક સ્વપ્નું જ બની રહેશે એવો ખેડૂતોએ બળાપો કાઢયો હતો.નખત્રાણાના ખેડૂતે આ મામલે કૃષિ મંત્રી ફળદુ અને રૂપાલાને ફોન કર્યો હતો.જેમાં પંચાયતની ચૂંટણીમાં રૂપાલાએ ખાતર મામલે આપેલા ભાષણો મામલે ખેડૂતો આકરા પ્રશ્નો કર્યા હતા. જેમાં રૂપાલાએ માત્ર જીજી કર્યું હતું.
ખેડૂતોને માર
કોરોનાના લઇને તમામ રોજગાર ધંધાઓ મંદ પડયા છે.ત્યારે ખેડૂતોની હાલત પણ સારી નથી. ડાંગર, શેરડી સહિતના પાકોમાં જે ભાવો પડયા છે.તેમાં ખેડૂતોને મોટો માર પડયો છે.હજુ તો આ આધાતમાંથી બહાર આવ્યા નથી ત્યાં તો ખાતર ઉત્પાદિત કંપનીએ ખાતરના ભાવમાં ધરખમ વધારો કર્યો છે.ખેતીપાક માટે જે ખાતરોની વધારે જરૃર પડે છે. તે એન.કે.પી ખાતરમાં જ ભાવ વધારો કરતા ખેડૂતો સમસમી ઉઠયા છે.
ખેડૂતોને ખેતી કરવું મોંઘુ પડશે
ઓલપાડ ખરીદ વેચાણ સંધના પ્રમુખ જયેશ પટેલે (દેલાડ) જણાવ્યું કે, ભાવ વધારો થતા શેરડી પકવવાનું મોંઘું પડશે.હાલ એક એકરે જે ખર્ચો થાય છે,તેમાં રૃા.૫,૦૦૦ વધારો કરવો પડશે.ખેડૂતો માટે ખેતી કરવાનું હવે મોંઘું પડશે.આઝાદી પછી પ્રથમવાર આટલો મોટો ભાવ વધારો કરાયો છે.
અમે રસાયણ મંત્રી મનુસુખ માંડવીયાને ટેલિફોનિક રજુઆત કરીને આ ભાવ વધારો તાકીદે ખેંચી લેવા માંગ કરતા સબસિડીમાં વધારો કરવાની વાત તેમણે કરી હતી.જોકે, ભાવ વધારો પરત નહી ખેંચાય તો ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાનું વડાપ્રધાન બતાવેલું સપનું સપનું જ રહી જશે.ખેડુતોએ બળાપો કાઢયો હતો કે આગામી દિવસોમાં ખેડુતોએ હવે ખેતી છોડીને ખાતરનું ઉત્પાદન શરૃ કરવુ પડે તેવા દિવસો આવી રહ્યા છે.ખેડુતોની આવક બમણી કરવાની વાત છોડો જે આવક થઇ રહી છે તે જ સાચવી રખાય તો બસ છે.
ખાતરનું નામ : જુનો ભાવ : નવો ભાવ
– ઇફકો ડી.એ.પી : ૧૨૦૦ : ૧૯૦૦
– ઇફકો એન.કે.પી : ૧૧૮૫ : ૧૮૦૦
– સરદાર ડી.એ.પી : ૧૨૦૦ : ૧૯૦૦
– સરદાર એન.કે.પી : ૧૧૮૫ : ૧૮૦૦
– કૃભકો એન.કે.પી : ૧૧૮૫ : ૧૬૫૦
– આઇ.પી.એલ.ડી.એ.પી : ૧૨૦૦ : ૧૯૦૦