– મને હિંદુ ધર્મ પ્રત્યે પ્રેમ છે, જે એક મહાન ધર્મ છે: જસ્ટિસ કેએમ જોસેફ
– આપણને આ મહાન ધર્મ પર ગર્વ હોવો જોઈએ: જોસેફ
– સુપ્રીમ કોર્ટે નામ બદલવા કમિશનની રચના કરવાની અરજી ફગાવી દીધી
નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેએમ જોસેફે કહ્યું છે કે તેઓ ખ્રિસ્તી છે તેમ છતાંય તેમને હિંદુ ધર્મથી પ્રેમ છે.આ સાથે તેમણે કહ્યું કે હિંદુ ધર્મ એક મહાન ધર્મ છે અને તેને નીચો દેખાડવો જોઇએ નહીં.વાત એમ છે કે જસ્ટિસ કે.એમ.જોસેફે દેશમાં પ્રાચીન, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોના નામ બદલવાની માંગણી કરતી PILની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી,જેમાં દેશમાં બર્બર આક્રમણકારીઓએ દેશના જે પ્રાચીન,સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોના ‘નામ બદલી નાંખ્યા હતા’ તેમના ‘મૂળ’ નામ ફરીથી રાખવા માટે પુન:નામકરણ આયોગ (Renaming Commission)ની રચના કરવાનો અનુરોધ કર્યો છે.જસ્ટિસ જોસેફના નેતૃત્વવાળી આ બેન્ચમાં જસ્ટિસ બીવી નાગરત્ન પણ સામેલ હતા.
હિન્દુ ધર્મ પર ગર્વ હોવો જોઈએઃ જસ્ટિસ કેએમ જોસેફ
જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું, ‘હું એક ખ્રિસ્તી છું,તેમ છતાં મને હિંદુ ધર્મ પ્રત્યે પ્રેમ છે,જે એક મહાન ધર્મ છે અને તેનું અપમાન ન થવું જોઈએ.હિંદુ ધર્મ જે ઉંચાઈએ પહોંચ્યો છે અને ઉપનિષદ,વેદ અને ભગવદ ગીતામાં જેનો ઉલ્લેખ છે તે ઉંચાઈએ કોઈ વ્યવસ્થા નથી પહોંચી.હિંદુ ધર્મ આધ્યાત્મિક જ્ઞાનમાં ખૂબ ઊંચાઈએ પહોંચ્યો છે.આપણને આ મહાન ધર્મ પર ગર્વ હોવો જોઈએ અને આપણે તેનું અપમાન ન કરવું જોઈએ.
સુનાવણી દરમિયાન જસ્ટિસ કેએમ જોસેફ હિંદુ ધર્મની ફિલોસોફી પર ડૉ. એસ. રાધાકૃષ્ણનનું પુસ્તક વાંચવાની સલાહ આપી.તેમણે કહ્યું, ‘આપણને આપણી મહાનતા પર ગર્વ હોવો જોઈએ અને આપણી મહાનતા આપણને ઉદાર બનાવે છે.હું તેને વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ડૉ.એસ. રાધાકૃષ્ણનનું પુસ્તક વાંચવું જોઈએ.કેરળમાં એવા ઘણા રાજાઓ છે જેમણે ચર્ચ અને અન્ય ધાર્મિક સ્થળો માટે જમીન દાનમાં આપી હતી.
સુપ્રીમ કોર્ટે એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી દીધી હતી,જેમાં તેમણે નામ બદલવા કમિશનની સ્થાપના કરવાની માંગ કરી હતી.કોર્ટે કહ્યું કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને તે ભૂતકાળમાં કેદ ન રહી શકે.જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું કે ધાર્મિક પૂજાને રસ્તાઓના નામકરણ સાથે કોઈ લેવાદેવા નથી.તેમણે કહ્યું કે મુગલ બાદશાહ અકબરે વિવિધ સમુદાયો વચ્ચે સદ્ભાવ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.