નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022, શનિવાર : કેન્દ્ર સરકારે ગંગા નદીમાંથી કાઢવામાં આવેલા દૂષિત પાણીમાંથી કમાણીની નવી યોજના બનાવી છે.ટૂંક સમયમાં જ સરકાર સીવેજના ઉપચારિત (treated) પાણીને વેચવાની શરૂઆત કરશે.બહુ જલ્દી જ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.(IOCL)ને તેના વેચાણની શરૂઆત કરવામાં આવશે.
ગંગા તટેથી દરરોજ આશરે 12 હજાર લાખ લીટર (MLD) સીવેજ પાણી નીકળે છે.સ્વચ્છ ગંગા મિશન (NMCG) ના ડિરેક્ટર જનરલ અશોક કુમારના કહેવા પ્રમાણે એક મહિનામાં IOCને આ પાણીની આપૂર્તિ શરૂ કરવાની સાથે આ ઉપચારિત પાણીનું વેચાણ શરૂ થઈ જશે.મથુરાથી ગંગાના ઉપચારિત પાણીના વેચાણની શરૂઆત કરવામાં આવશે.આશરે 20 MLD પાણી IOCLને આપવામાં આવશે.ત્યાં IOCની રિફાઈનરી આવેલી છે.મથુરા STP ખાતેથી IOCLને તેની જરૂરિયાત પ્રમાણેનું પાણી આપવામાં આવશે.એકાદ મહિનામાં તેની શરૂઆત થઈ જશે અને દેશમાં પ્રથમ વખત કોઈ ઓઈલ રિફાઈનરી ઉપચારિત જળનો ઉપયોગ કરશે.
નાહવા માટે યોગ્ય પાણી
તેમના કહેવા પ્રમાણે ગંગામાંથી કાઢવામાં આવેલું દૂષિત અને સીવેજનું પાણી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP)માં ઉપચારિત કરવામાં આવે છે.ત્યાર બાદ તે ઉદ્યોગોને વેચવા માટે ઉપયુક્ત થઈ જાય છે.આ ઉપચારિત પાણી નાહવા માટે યોગ્ય સ્તરનું હોય છે.ઉદ્યોગો દ્વારા તેનો ઉપયોગ કરી શકાય.ઉપચારિત જળનો ઉદ્યોગોમાં ઉપયોગ કરવાથી નદીઓમાંથી સારા અને સ્વચ્છ પાણીનો ઉપયોગ ઘટશે.