મુંબઇ : છેલ્લા બે વર્ષ દરમ્યાન કપરા કોરોનાકાળમાં ગણેશોત્સવની ધામધૂમથી અને સાર્વજનિક ઉજવણી નહોતી થઇ શકી પરંતુ હવે મહામારીનું સંકટ અને પ્રતિબંધો દૂર થતા મુંબઇ સહિત વિદેશમાં પણ ગણેશોત્સવની ઉજવણીની તૈયારી થઇ રહી છે.આ માટે આજે મુંબઇથી ૨૧ ફૂટ ઉંચી મૂર્તિ વિધિવત પૂજન કરીને જહાજમાં ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી હતી.ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં શહેરમાં ગણેશોત્સવની ઉજવણી થવાની છે.આ માટે મુંબઇના લાલબાગના રાજાના મૂર્તિકાર મનોહર બાગવે અને સદાનંદ બાગવેએ અગાઉ ઓસ્ટ્રેલિયાના ગણેશોત્સવ માટે ૧૨ ફૂટની મૂર્તિ ઘડી હતી.એ વખતે પણ પરદેશ મોકલવામાં આવેલી એ સૌથી ઉંચી મૂર્તિ હતી.જ્યારે આ વખતે લાલબાગના શિલ્પકારોએ ૨૧ ફૂટ ઉંચી મૂર્તિ ઘડી છે જે અત્યાર સુધીમાં પરદેશ મોકલાયેલી મૂર્તિમાં સહુથી ઉંચી હોવાનું જાણવા મળ્યું છે.ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં વસના ભારતીયો તરફથી ૨૦૧૬થી ગણેશોત્સવ ઉજવાય છે.આ વખતે ૩જી અને ૪થી સપ્ટેમ્બરે ગણેશોત્સવ ઉજવાશે જેમાં ૧૫ હજારથી વધુ ભાવિકો દર્શનનો લાભ લેશે.આ પ્રસંગે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારત ઉપરાંત ૧૨ દેશોના કલાકારો ભાગ લેશે.આ ગણેશોત્સવનું આયોજન યુનાઇટેડ ઇન્ડિયન્સ ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી કરવામાં આવ્યું છે.