– ભાજપને ‘એન્ટી-ઇન્કમ્બન્સી’ અને ‘આપ’નો ડર, 17 મહિના પહેલાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ
– મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખને ‘એકસાથે’ કામ કરવાની સૂચના
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના હજુ 17 મહિના બાકી છે, એ પહેલાં જ સત્તાધારી પક્ષ ભાજપ જોરશોરથી તૈયારીઓ શરૂ કરવા લાગી છે, કેમ કે એને એન્ટી-ઇન્કમ્બન્સી અને આમઆદમી પાર્ટીનો ડર લાગી રહ્યો છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 100 બેઠક પણ મળી નહોતી,એનું કારણ પણ એ સમયની એન્ટી-ઇન્કમ્બન્સીની અસર હતી,તેથી જો 2017 જેવી સ્થિતિ સર્જાય તો ભાજપાને જીતવું ભારે પડી જાય એમ હોવાનું અનુમાન કર્યા બાદ ભાજપા એકદમ એક્શન મોડ પર આવી ગઈ છે.
ગુજરાતમાં ‘આપ’ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી
ગુજરાત સરકારની કોરોનાની કામગીરી સામે પ્રજાનો રોષ જોવા મળી રહ્યો છે.એની સાથે સાથે ભાજપા સંગઠન અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ હોવાની જાણ કાર્યકરોથી લઈને પ્રજા સુધી પણ પહોંચી ગઈ હતી.એટલું જ નહીં,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી ગુજરાતમાં ‘આપ’ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.આવાં બધાં કારણોને લઈને પક્ષનું હાઇકમાન્ડ પણ સક્રિય થઈ ગયું હતું.પરિણામે, ભાજપના ચાણક્ય અમિત શાહથી માંડીને પ્રભારી પણ સતત મુલાકાત કરી ગયા હતા અને પક્ષ તથા સરકારના નેતાઓ સાથે વન ટુ વનથી લઈને ગ્રુપ બેઠકો કરી હતી.
ધારાસભ્યોને પ્રજાની વચ્ચે રહેવાની સૂચના
ગુજરાત ભાજપના નેતાઓ સાથેની હાઇકમાન્ડની બેઠકોમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલન રાખવાથી લઈને સરકારને પણ મજબૂત કામગીરી પ્રજાલક્ષી નિર્ણયો ઉપરાંત ધારાસભ્યોને પણ પ્રજાની વચ્ચે જઈ સાથે રહેવાની સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી અને ભાજપા પ્રમુખ વચ્ચે કોઈ અંતર વિના સાથે સાથે કામ કરવાની તાકીદ કરી હતી.
પક્ષ-પ્રમુખ પાટીલ પણ 23મી જૂને દિલ્હી રવાના થયા હતા
છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.ખાસ કરીને ભાજપમાં હાલ એક બાદ એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે.આ રાજકીય હલચલ વચ્ચે સોમવારે કમલમમાં પ્રદેશ પ્રમુખ પાટીલની ટીમની પહેલી કારોબારીની બેઠક મળશે. આ કારોબારી બેઠકમાં આગામી દિવસોમાં સંગઠનની નવરચનાની જેમ સરકારમાં પણ ફેરબદલની સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવામાં આવશે.છેલ્લા કેટલાક દિવસોથી ભાજપામાં ભારે હલચલ શરૂ થઈ છે.ભાજપના પ્રભારીથી લઇને પક્ષના ચાણક્ય અમિત શાહે સતત બે દિવસ સુધી બેઠકો કરી હતી.ત્યાર બાદ પક્ષ-પ્રમુખ પાટીલ પણ 23મી જૂને દિલ્હી રવાના થયા હતા.
અમિત શાહે એક બાદ 6 બેઠક યોજતાં રાજકીય માહોલ ગરમાયો
આ પહેલાં 21 અને 22 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી,પ્રદેશ પ્રમુખ પાટીલ,મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ અને ધારાસભ્યો સાથે એક બાદ એક 6 બેઠક યોજી હતી.
શાહે 21મીએ રૂપાણી-નીતિન પટેલ સાથે એક કલાક બેઠક યોજી
21મી જૂને અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા,જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાથે પહોંચ્યા હતા.ત્યાં અમિત શાહે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી સાથે બંધબારણે એક કલાક સુધી બેઠક કરી હતી.આ સાથે જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ હતી તેમજ આ બેઠકને લઈ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા થવા લાગી છે.
‘આપ’-પાટીદારો મામલે નીતિન પટેલ સાથે અલગથી બેઠક કરી હતી
આ દરમિયાન અમિત શાહે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ બેઠક કરી હોવાની વાતથી ભાજપામાં ચર્ચાઓ તેજ બની ગઈ હતી.ખાસ કરીને હાલમાં ‘આપ’ના આગમન તથા પાટીદાર ફેક્ટરના મામલે અમિત શાહ અને નીતિન પટેલ વચ્ચની ચર્ચા બહુ મહત્ત્વની પુરવાર થઈ શકે છે.
દિલ્હીથી જ શાહ બ્લુ પ્રિન્ટ લઈને આવ્યા
આ પ્રકારનું આયોજન તાબડતોબ કરવામાં આવ્યું હોય એ શક્ય નથી.આ તમામ બેઠકો અને સમીક્ષાના પ્લાનની બ્લુ પ્રિન્ટ અમિત શાહ દિલ્હીથી જ લઈને આવ્યા હતા.ફરક માત્ર એટલો જ હતો કે આ પ્રકારની જાહેરાત અગાઉથી કરાઈ ન હતી.