ગ્વાલિયર, તા.૨૯ : દેશમાં હાલ ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના નેતા વિપક્ષ ગોવિંદસિંહના વિવાદાસ્પદ નિવેદનથી હોબાળો મચી ગયો છે.તેમણે કહ્યું કે ગામમાં રામાયણ થાય છે ત્યારે અમે આખી રાત ઊંઘી નથી શકતા.નેતા વિપક્ષ બન્યા પછી ગોવિંદસિંહે જ્યોતિરાદિત્ય સિંધિયાની ઝાટકણી કાઢી હતી.લાઉડસ્પીકર વિવાદ અંગે મધ્ય પ્રદેશ વિધાનસભામાં નેતા વિપક્ષ બનનારા ડૉ. ગોવિંદસિંહે કહ્યું કે, બધા જ ધર્મના લોકો લાઉડસ્પીકર વગાડે છે અને પોતાની વાત કહે છે, પરંતુ હકીકતમાં સામાન્ય જનતાને હેરાનગતી થતી હોય તો બધાને અપીલ છે કે લાઉડસ્પીકરનો અવાજ ધીમો રાખે, પછી તે કોઈપણ ધર્મના હોય.કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમે જોઈએ છીએ કે ગામમાં રામાયણ થાય છે ત્યારે અમે આખી રાત ઊંઘી નથી શકતા.મારા ભાઈએ રામાયણ કરાવવા માટે લાઉડસ્પીકર લગાવ્યું તો અમે ઊંઘી શક્યા નહોતા.
તેમણે કહ્યું કે, માત્ર ચૂંટણી માટે કોઈ એક સમાજને ટાર્ગેટ કરવો જોઈએ નહીં. ચોક્કસ સમાજને બદનામ કરવા માટેનું ભાજપનું કાવતરું દેશની જનતા સમજી ગઈ છે અને હવે જનતા તેની વાતોમાં નહીં આવે.પક્ષમાં વિપક્ષના નેતાની જવાબદારી અંગે ગોવિંદસિંહે કહ્યું કે, પક્ષમાં હું કાર્યકર તરીકે કામ કરું છું અને પક્ષ જે જવાબદારી આપે તે ઈમાનદારીથી પૂરી કરું છું.જ્યોતિરાદિત્ય સિંધિયા અંગે તેમણે કહ્યું કે સિંધિયાને હું ક્યારેય પડકારરૂપે માનતો નથી.સિંધિયા એટલા મોટા નેતા હોત તો ૨૦૧૯માં એક સામાન્ય કાર્યકર સામે ખરાબ રીતે હારી ગયા ન હોત.