ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી માવઠું વરસી રહ્યું છે.જેના કારણે હવામાનમાં પલટો આવ્યો છે.રાજ્યના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો છે.ગીર સોમનાથના દરિયામાં 15 જેટલી બોટ ડૂબી ગઈ હોવાના વાવડ મળ્યા છે.જ્યારે 11 માછીમાર લાપતા થયા હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે ગીર સોમનાથ જિલ્લાન ક્લેકટરે આ વાતની ખાતરી કરતા જણાવ્યું હતું કે, કુલ ચાર માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે.જ્યારે અન્યને શોધવા માટે બે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના નવા બંદર પર વાવાઝોડા તથા વરસાદને કારણે માછીમારો તથા ક્લેકટર સાથે આ મામલે વાતચીત કરી છે.માછીમારી કરતી પાંચ બોટના કુલ 14 માછીમારી કરવા દરિયામાં ગયા હતા.મુખ્યમંત્રીએ કોસ્ટગાર્ડ સાથે વાતચીત કરીને વધારાની બોટ અને બે હેલિકોપ્ટરથી શોધ કરવા માટે વાત કહી છે.યુદ્ધના ધોરણે આ અંગેની કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા છે.મુખ્યમંત્રીના સચીવ પંકજ કુમારે આ સ્થિતિ પર સતત નજર રાખવા માટે સૂચના આપી દીધી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ભારે પવન અને વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.તેમ છતાં કેટલાક માછીમારો પોતાની બોટ લઈને દરિયામાં નીકળ્યા હતા. રાજ્યના કુલ 129 તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ થયો છે.કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા એકાએક વધી ગઈ છે. વાતાવરણમાં પલટો આવતા ઊના સુધીના પંથકમાં મીની વાવાઝોડું જોવા મળ્યું હતું.જેની અસર દરિયામાં પણ થઈ હતી. બુધવારે દરિયામાં એક પ્રકારનો કરંટ જોવા મળ્યો હતો.
ઊનાના બંદર નજીક બનેલી આ ઘટનામાં હજું પણ માછીમારોની શોધખોળ યથાવત છે.બુધવારે હવામાનમાં પલટો આવતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અનેક વિસ્તારમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.લઘુતમ તાપમાનમાં પણ ઘટડો જોવા મળ્યો હતો. જેના કારણે સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી.
બીજી તરફ ડાંગ,વાપી,તાપી,નર્મદા,ભરૂચ,છોટઉદેપુર,ઊના તથા ખાંભામાં કમોસમી વરસાદ થયો હતો.દક્ષિણ ગુજરાતમાં માવઠાને કારણે તાપમાન ગગડ્યું છે.દીવમાં ભારે પવન ફૂંકાયો હતો.દીવમાં બુધવારે ધોધમાર વરસાદ પડ્યો હતો.જ્યારે માછીમારી કરતા એક ખલાસીનું મૃત્યું થયું છે.રાજુલા,જાફરાબાદ,પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં વાતાવરણમાં આવેલા પલટાને લઈને ખાસ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે.