ગુજરાતની આ પાલિકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે આપેલું ‘એક હોદ્દો, એક વ્યક્તિ’ સૂત્ર ભુલાયું

HM News
2 Min Read

હિંમતનગર પાલિકાની કમિટીઓની રચનામાં પક્ષપાત થયો હોવાની ચર્ચા શરૂ થઇ છે.જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખે આપેલું ‘એક હોદ્દો, એક વ્યક્તિ’ સૂત્ર ભુલાયું છે.તેમાં એક નગરસેવક પાર્ટીમાં 1 લાખનું ફંડ આપી મલાઈદાર કમિટીના ચેરમેન બન્યા છે. તેમજ સામાન્ય સભામાં અંદાજે 23 કમિટીઓની રચનાની જાહેરાત કરાઈ હતી.

રૂ.1 લાખ પાર્ટી ફંડમાં આપ્યા હોવાની ચર્ચાએ જોર પકડયુ

હિંમતનગર નગરપાલિકાની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં છેલ્લી ઘડીએ કેટલીક કમિટીઓના ચેરમેન અને હોદ્દેદારોની જાણ બહાર ફેરફાર કરીને કમિટીની જાહેર કરાતાં કેટલાક કોર્પોરેટરોમાં નારાજગી પ્રસરી છે.દરમિયાન એક કોર્પોરેટરે મનગમતી કમિટીના ચેરમેન બનવા માટે અંદાજે રૂ.1 લાખ પાર્ટી ફંડમાં આપ્યા હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.તો બીજી તરફ સંગઠનની કાર્યરીતીથી નારાજ કેટલાક કાર્યકરો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું વિચારી રહયા છે.

ચૂંટાયેલા સભ્યોમાં નારાજગી વ્યાપી

આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં ટાઉન હોલ ખાતે મળેલી સામાન્ય સભામાં અંદાજે 23 કમિટીઓની રચનાની જાહેરાત કરાઈ હતી.કેટલાક કોર્પોરેટરોના દાવા મુજબ સામાન્ય સભા મળે તે અગાઉ પાલિકાના તમામ સદસ્યોને સંગઠનના પદાધિકારીઓએ બોલાવીને ચર્ચા કર્યા બાદ કમિટીઓની રચનાથી વાકેફ કર્યા હતા.પરંતુ જયારે સામાન્ય સભામાં કમિટીઓની જાહેરાત કરાઈ ત્યારે તેમાં કેટલાક ફેરફાર કરી દેવાયા હતા.જેને લઈને ચૂંટાયેલા સભ્યોમાં નારાજગી વ્યાપી હતી.

કાર્યકરોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું નક્કી કર્યુ

એટલુ જ નહી પણ પાલિકાના એક નગર સેવકે પોતાને મનગમતી કમિટીના ચેરમેન બનવા માટે પાર્ટી ફંડના નામે અંદાજે રૂ.1 લાખનો વ્યવહાર કર્યો હોવાની ચર્ચાએ હિંમતનગર શહેરમાં જોર પકડયુ છે.સાથો સાથ પ્રદેશ પ્રમુખે ચૂંટણી અગાઉ તેમની સાબરકાંઠા અને હિંમતનગરની મુલાકાત દરમિયાન કાર્યકરોને એવુ કહ્યું હતુ કે, એક વ્યક્તિને એક જ હોદ્દો મળશે પરંતુ તેના વિરૂધ્ધમાં જઈને સંગઠનના કેટલાક પદાધિકારીઓએ 2 નગર સેવકોને 2 હોદ્દા આપ્યા છે.જે અંગે કાર્યકરોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું નક્કી કર્યુ છે.

શહેર સંગઠનમાં પણ ફેરફાર થાય તો નવાઈ નહી

આધારભૂત સૂત્રોનું માનીએ તો લોકસભાની ચૂંટણી અગાઉ રાજયના જિલ્લા કક્ષાના સંગઠનની પુનઃ રચના અથવા તો તેમાં ધરખમ ફેરફારો થવાની શકયતા વ્યકત કરાઈ રહી છે.કારણ કે પક્ષ માટે કામ કરનાર કાર્યકરોને કેટલાક હોદ્દાઓ આપી તેમને સાચવી લેવા પડે તેમ છે.જોકે જિલ્લા સંગઠનની પુનઃ રચના કે તેમાં ફેરફાર કરતા અગાઉ તાલુકા અને શહેર સંગઠનમાં પણ ફેરફાર થાય તો નવાઈ નહી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *