ગુજરાતના મુખ્યમંત્રીપદેથી સીએમ વિજયરૂપાણીએ રાજીનામું આપી દીધું છે.આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજીનામું ધરી દેતાં કમલમમાં બેઠકનો ધમધમાટ ચાલુ છે.સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે ભાજપ દળના તમામ સભ્યોની બેઠકમાં નવા સીએમ નક્કી કરાશે.ભાજપાના ધારાસભ્યોની બેઠકમાં સર્વાનુમતે નવા નેતાની વરણી કરવામાં આવશે. જે પછી રાજ્યપાલને આવેદન આપીને નવા મુખ્યમંત્રી નિમાશે.
આગામી 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે આગામી 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.ગુજરાતમાં નવા મુખ્યમંત્રીને લઈને રાજકીય ધમધમાટો સાથે અટકળોનો દોર ચાલુ થઈ ગયું છે.હાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,પ્રદિપસિંહ જાડેજા,ગોરધન ઝડફિયા સહિતના નેતાઓના નામો પર લોકો જોરશોરથી અટકળો ચાલી રહી છે.
પાટીદાર આંદોલન તેજ થયું હતું તે પછી થોડા સમય પૂર્વે જ ખોડલ ધામ ખાતે પણ પાટીદારોએ પોતાનો નેતા આગામી સીએમ હોવો જોઈએ તેવું જણાવ્યું હતું.કોળી સમાજે પણ આગામી સમયમાં અમારા સમાજનો સીએમ હોવો જોઈએ તેવું શક્તિપ્રદર્શન કર્યું હતું.હવે જોવાનું એ રહેશે કે નવા મુખ્યમંત્રી માટે કમલમમાંથી કોને આદેશ અપાય છે.તો ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે નવા મુખ્યપ્રધાનના નામને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.રૂપાણીના રાજીનામા સમયે બે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલા ગુજરાતમાં જ હોવાથી તેમના નામની અટકળો વહેતી થઈ છે.આ ઉપરાંત ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડફિયાનું નામ પણ રેસમાં આગળ છે.આ ત્રણેય નેતાઓ ઉપરાંત વર્તમાન કેબિનેટમાંથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ.પ્રદિપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન સતત મળતું રહ્યું
મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ પ્રધાનમંડળના તમામ સભ્યો રાજ્યપાલ દેવવ્રત આચાર્યને મળવા પહોંચ્યા હતા.જે બાદ વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે.રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી પોતે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યાની સત્તાવાર જાહેરાત કરી છે.તેમણે જણાવ્યું કે મને ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સેવા કરવાની તક આપવા બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપે વિકાસની નવી ઊંચાઇઓ સર કરી છે.ગુજરાતનું નવું નેતૃત્વ જે જે સંભાળશે તેના માર્ગદર્શન હેઠળ પણ ગુજરાતની વિકાસયાત્રા અવિરતપણે આગળ વધતી રહેશે… મારા કાર્યકાળ દરમ્યાન મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે.આ ઉપરાંત પાંચ વર્ષના મારા કાર્યકાળ દરમ્યાન ગુજરાતના પ્રજાજનોનો પણ મને અભૂતપૂર્વ સહકાર મળ્યો છે.પાર્ટી હવે મને જે જવાબદારી સોંપશે તે હું પૂરી પ્રતિબદ્ધતાથી નિભાવીશ તેમ રૂપાણીએ કહ્યું…


