અમદાવાદ : તા.14 જુલાઈ 2022,ગુરૂવાર : ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો મુદ્દે ગુજરાતને બદનામ કરવાના ગંભીર પ્રકારના કાવતરામાં ધરપકડ કરાયેલા પૂર્વ આઇપીએસ સંજીવ રાજેન્દ્ર ભટ્ટને આજે પોલીસના લોખંડી જાપ્તા હેઠળ અત્રેની ઘી કાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.તપાસનીશ એજન્સીની રિમાન્ડ અરજી અને કારણો ધ્યાનમાં લીધા બાદ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી સંજીવ ભટ્ટને સાત દિવસના તા.૨૦ જૂલાઇ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા
સીટ તરફથી સંજીવ ભટ્ટના ૧૪ દિવસના રિમાન્ડ માંગતી અરજીમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર મીતેશ અમીન અને અમિત પટેલે જણાવ્યું હતું કે,આરોપી સંજીવ ભટ્ટ જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં જન્મટીપની આકરી સજા પામેલા છે અને પાલનપુર પોલીસમથકમાં એનડીપીએસ એકટ હેઠળ નોંધાયેલા ગુના સબબ હાલ પાલનપુર સબજેલમાં જયુડીશીયલ કસ્ટડીમાં છે.આરોપી કાયદાકીય અને પોલીસ પૂછપરછની પ્રક્રિયાથી માહિતગાર છે તેમ જ કોર્ટ કાર્યવાહીથી પણ સંપૂર્ણ માહિતગાર હોઇ આ કેસની તપાસમાં કોઇ સાથ સહકાર આપતા નથી.આરોપીની પોલીસ કસ્ટડી હાજરીમાં વધુ પૂછપરછ અને પુરાવાઓ મેળવવા માટે નીચેના કારણોસર પોલીસ કસ્ટડીની રિમાન્ડની જરુર છે.આ કેસમાં આરોપી તિસ્તા શેતલવાડ અને આર.બી.શ્રીકુમાર હાલ જયુડીશીયલ કસ્ટડીમાં છે.