ગાંધીનગર : ગુજરાતમાં બહુ ગાઝેલા શિવાંશ કેસ જાણે કોઇ થ્રિલર રાઇડ હોય તેમ એક પછી એક ચોંકાવનારા વળાંકો આવ્યા હતા.આખરે સમગ્ર કેસ પરથી પરદો ઉચકાયો ત્યારે સમગ્ર ગુજરાત દિગમુઢ બની ગયું હતું.હાલ શિવાંશની માતાનું મોત થઇ ચુક્યું છે.જ્યારે શિવાંશના પિતા હવે જેલમાં જાય તે નક્કી છે તેવામાં શિવાંશનું કોણ તે એક મોટો સવાલ થાય છે.આ અંગે કાયદાના નિષ્ણાંતો અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હાલ તો શિવાંશના ડિએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે.આ ઉપરાંત સચિન અને હિનાના મૃતદેહમાંથી પણ ડીએનએ સેમ્પલ લેવાશે.આ તમામ સેમ્પલ મેચ કરાવીને શિવાંશ આ બંન્નેનું જ બાળક હતું તે સાબિત કરવામાં આવશે.જો કે આ રિપોર્ટ આવતા 15 દિવસ લાગી શકે છે.
શિવાંશ સચિન અને હિનાનો પુત્ર જ છે તે સાબિત થયા બાદ શિવાંશ પર સૌથી મોટો હક માતાનો લાગે છે.તેવામાં માતાનું મોત થયું છે તેના કારણે શિવાંશના નાના અને નાની સૌથી મોટા દાવેદાર ગણી શકાય છે.જો કે શિવાંશના નાના નાનીના છુટાછેડા થઇ ચુક્યા છે અને નાનીનું મોત પણ થયું છે તેવામાં જો શિવાંશના નાના કોઇ પ્રકારનો ક્લેમ ન કરે તો શિવાંશને સચિનના પિતા સ્વિકારી શકે છે.જો સચિનના પિતા પણ શિવાંશને રાખવા ન ઇચ્છતા હોય તો CWC કમિટિ દ્વારા શિવાંશને દત્તક લેવા ઇચ્છતા સૌથી શ્રેષ્ઠ પરિવારને દત્તક આપવામાં આવી શકે છે.
જો કે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સચિનના પિતા શિવાંશને સાથે રાખવા માટે તૈયાર છે.આ અંગે તેઓ પોલીસ સાથે ચર્ચા કરીને દાવો કરવાના મુદ્દે ઘણા આગળ પણ વધી ચુક્યા છે.શિવાંશના નાનાની આર્થિક સ્થિતિ અને અન્ય પાસાઓને જોતા શિવાંશની કસ્ટડી સચિનના પિતાને જ સોંપવામાં આવે તેવી શક્યતાઓ મહત્તમ છે.જો કે શિવાંશની કસ્ટડી જેને પણ સોંપાય તે અગાઉ શિવાંશે 3 મહિના ફરજીયાત શીશુગૃહમાં રહેવું પડશે.હાલ તો આ તમામ બાબતો કાયદાને આધિન છે. DNA આવ્યા બાદ સમગ્ર બાબત સ્પષ્ટ થઇ જશે.