ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી ૫ણ ચૂંટણી મેદાને ઉતરી છે.આમ આદમી પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત લોકોનું સમર્થન પણ આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે.આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ વોર્ડમાં સભાના આયોજનો કરવામાં આવે છે.આ સભાઓમાં લોકોનું ખૂબ જ સારું સમર્થન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે.તો બીજી તરફ ચૂંટણીને લઈને ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે.જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પક્ષ પલટુઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતા હોય છે.ત્યારે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર સમયે જ ભાજપને મોટો ફટકો પડ્યો છે.ભાજપના 200 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસની સાથે જોડાયા છે.
રિપોર્ટ અનુસાર ગાંધીનગર પેથાપુર વોર્ડ નંબર 2ના ભાજપના મહામંત્રી મહેશ ઠાકોર અને યુવા મોરચાના કારોબારી સભ્ય સાહિલ ઠાકોરની સાથે ભરત ઠાકોર,અનિલ ઠાકોર,રોહિત ઠાકોર,વિષ્ણુ ઠાકોર અને પ્રવિણ ઠાકોર સહિત 200થી વધારે કાર્યકર્તાઓએ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો ખેસ પહેર્યો છે.આ તમામ કાર્યકર્તાઓ એ ભાજપમાં થતી અવગણનાથી નારાજ થઈને પક્ષ છોડ્યો છે.તમામ સભ્યો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા યુવરાજસિંહ રાણા અને અન્ય નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા હતા. ભાજપ માટે આ વખતે કોંગ્રેસની સાથે આદમી પાર્ટી પણ મોટો પડકાર છે.એટલે પ્રદેશના નેતાઓ દ્વારા ખાસ સૂચના સ્થાનિક આગેવાનોને આપવામાં આવી છે કે, તેમના વોર્ડમાં ગાડબુ ન પડે તેનું ધ્યાન રાખવું.
ઉલ્લેખનીય છે થોડા દિવસો પહેલા પેથાપુરના પૂર્વ નગરપતિ રણજીતસિંહ વાઘેલાએ ભાજપમાં તેની અવગણના થતી હોવાના કારણે પક્ષ છોડી દીધો હતો.ભાજપનો સાથ છોડ્યા બાદ તેઓ આમ આદમી પાર્ટીની સાથે જોડાયા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપ માટે મોટો પડકાર બની રહી છે.
આમ આદમી પાર્ટીમાં જોડતા પહેલા રણજીતસિંહ વાઘેલાએ પક્ષમાં થતી અવગણના બાબતે સોશિયલ મીડિયામાં એક મેસેજ પણ વાયરલ કર્યો હતો.તો થોડા દિવસ પહેલા રણજીતસિંહ વાઘેલાના દીકરા વિજયસિંહ વાઘેલાએ પણ સોશિયલ મીડિયાના મધ્યમથી ભાજપમાંથી તેનું રાજીનામું આપી દીધું હતું દીકરાના રાજીનામાં બાદ પિતાએ પણ ભાજપનો સાથ છોડીને AAPનો ખેસ પહેર્યો છે.