ગુજરાતમાં કોરોના વાયરસે ત્રીજા વ્યક્તિનો આજે ભોગ લીધો હતો. ભાવનગરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીએ આજે દમ તોડી દીધો હતો અને આ સાથે ગુજરાતમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિની સંખ્યા ત્રણ થઇ ગઈ છે. 26 માર્ચ બપોરે 12.15 કલાકના રિપોર્ટ મુજબ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 43 થઈ ગઈ છે. આ સાથે જ દેશમાં મૃતકોની સંખ્યા 15 પર પહોંચી ગઈ છે અને સંક્રમિત લોકોની સંખ્યા 639 પર પહોંચી ગઈ છે.અમદાવાદમાં સૌથી વધુ 15 લોકો આ વાયરસથી સંક્રમિત છે, જ્યારે વડોદરા, સુરતમાં 7-7 દર્દીઓ, ગાંધીનગરમાં 6, કચ્છ-ભાવનગરમાં 1-1 દર્દી અને રાજકોટમાં 4 દર્દી આ વાયરસથી સંક્રમિત છે.
રાજ્યમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર તથા જામનગર ખાતેની મેડિકલ કોલેજોમાં કોવીડ-19 અંતર્ગત લેબોરેટરી ટેસ્ટ માટે ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એ જ રીતે એપોલો હોસ્પિટલ અને સુપ્રાટેક લેબોરટરીને પણ ટેસ્ટીંગ માટેની પરવાનગી આપવામાં આવી છે.
ડૉ. રવિએ જણાવ્યું હતું કે, અત્યારે સુધીમાં રાજ્યમાં 1,07,62,012 લોકોનો ઘરે ઘરે ફરીને તેમજ ટેલીફોનિક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે. જેમાંથી 15,468 લોકો ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. સર્વેલન્સ દરમિયાન 50 લોકોમાં આ પ્રકારના લક્ષણો જોવા મળતા તેઓ હાલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 20,220 લોકો હોમ કવોરોન્ટાઈનમાં છે.હોમ કવોરોન્ટાઈનના ભંગ બદલ અત્યાર સુધીમાં 147 સામે FIR નોંધવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં આજે કુલ -131 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 110ના પરિણામ આવ્યા છે. જેમાં એક કેસ પોઝીટીવ છે જ્યારે એક કેસ અનિર્ણાયક છે. જ્યારે 21 ટેસ્ટ પડતર છે. જે એક કેસ આજે રાજકોટમાં પોઝિટિવ આવ્યો છે તે સ્થાનિક સંક્રમિત છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ-39 કેસ પોઝિટિવ છે,તેમ તેમણે ઉમેર્યું હતું.