ગાંધીનગર : ગુજરાતમાં દિવાળી વેકેશન પછી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કોલેજ, ઈસ્ટિટયુટ અને સ્કૂલો શરૂ થઈ શકે તેમ છે.પેટા ચૂંટણી બાદ બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને શિક્ષણ સચિવ સાથે તમામ પાસાંઓની ચર્ચા કરીને તૈયારી કરવા કહ્યુ હતુ.
મુખ્મમંત્રીએ મંત્રી મંડળના સભ્યોને પણ ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓ પાસેથી ફરીથી ફિજિકલ એજ્યુકેશન શરૂ કરવા માટે પ્રતિભાવો માંગ્યા હોવાનું જણાવતા ટોચના અધિકારીએ કહ્યુ કે,હાલમાં દિલ્હીમાં કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો શરૂ થયો છે.ગુજરાતમાં આવી સ્થિતિ નહિ સર્જાય તો બે સપ્તાહમાં જ સ્કૂલો- કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવાશે.જેમાં સૌ પ્રથમ કોલેજો,મહાવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધોરણ ૧૨થી ૯ અને ત્યારબાદ ઉતરતા ક્રમે સ્કૂલો શરૂ કરવા તરફ આગળ વધવાનો કાર્યક્રમ જાહેર થશે.ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે આંતરે દિવસે બે- ત્રણ ભાગમાં વિદ્યાર્થીઓને બોલાવવાથી લઈને નવા નિયમો હેઠળ વર્તમાન શૈક્ષણિક વર્ષનું શિક્ષણ કાર્ય આગળ વધારાશે. ગુજરાતમાં કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત નાગરીકોના દૈનિક કેસની સંખ્યા,હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ અને મૃત્યુદરમાં ઘટાડા બાદ રાજ્યનો આરોગ્ય વિભાગ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી માટે ઉપયોગમાં લેવાતી દવાઓ,ઈન્જેક્શન અને ઓક્સિજનની માત્રામાં પણ ઘટાડો થઈ રહ્યાનો દાવો કરી રહ્યો છે.કોરોના કેર વચ્ચે વિધાનસભાની આઠે બેઠકો ઉપર પેટા ચૂંટણી પણ યોજાઈ છે.નાગરીકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મતદાન પણ કર્યુ છે.બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને દિવાળી વેકેશન બાદ સ્કૂલ- કોલેજ શરૂ કરવા સંદર્ભે પરામર્શ થયો હતો. રાજ્યમાં ચાર મહિનાથી ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે.શહેરી- અર્ધ શહેરી વિસ્તારોને બાદ કરતા ગ્રામ્ય તેમજ સરકારી શિક્ષણ આધારિત વ્યવસ્થા ધરાવતા વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણ સફળ રહ્યુ નથી.અભ્યાસક્રમ ઘટાડવો પડયો છે.આવી તમામ પરિસ્થિતિ વિદ્યાર્થીઓના ઘડતર માટે અવરોધરૂપ હોવાથી ઉચ્ચ શિક્ષણ માટે સ્કૂલ- કોલેજ શરૂ કરવા માંગણીઓ થઈ રહી છે.