ભુજ : ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે.આવા સમયે ગુજરાતમાં ભાજપના ટોચના મહિલા નેતાનો બફાટ સામે આવ્યો છે.જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલ રમેશ કારાએ સુખપરમાં કોરોનાગ્રસ્ત મૃતકોને અગ્નિદાહ આપવાનો લ્હાવો લીધો હોય એમ ધન્યતા અનુભવ્યાની લાગણી સાથે સોશિયલ મીડિયામાં ફોટા શેર કર્યા છે.ભુજ તાલુકાના માધાપર ગામના પારુલ રમેશ કારા જિલ્લા પંચાયતના પ્રમુખ છે.
પોસ્ટ વાયરલ થતાં પૂર્વ અધ્યક્ષાએ કટાક્ષ સાથે ટિપ્પણી કરી હતી કે, તમે ધન્યતા અનુભવી રહ્યા છો.પરંતુ અમે લાચારી અને દર્દ અનુભવી રહ્યા છીએ.જોકે,બંનેના યુદ્ધમાં એકે ભૂલ સુધારી હતી અને બીજાએ ડિલીટ કરી હતી.પરંતુ,ત્યાં સુધી બંનેની લડાઈ ચર્ચાનો વિષય બની ગઈ હતી.
ભુજ તાલુકાના સુખપરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સેવિકા સમિતિ દ્વારા સુખપરના સ્મશાનમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી.જેમાં તેઓ પણ જોડાયા હતા.આ પછી તેમણે સોશિયસ મીડિયામાં એની ફોટો સાથે પોસ્ટ મૂકતા લખ્યું હતું કે, સુખપર સ્મશાનમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કારની કામગીરી ચાલી રહી છે,જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવકો અને રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે.જે કપરી કામગીરી મેં જાતે નિહાળી.મેં પણ એક મૃતદેહને અગ્નિદાહ આપી ધન્યતા અનુભવી.
આ પોસ્ટ અંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કૌશલ્યા જયંત માધાપરિયાએ ટિપ્પણી કરી હતી કે, ખૂબ ખૂબ આભાર બેન.તમે મૃતદેહને અગ્નિદાહ આપી ધન્યતા અનુભવી રહ્યા છો પરંતુ અમે લાચારી અને દર્દ અનુભવી રહ્યા છીએ,જેમાં તેમણે બે હાથ જોડી આંખમાં આંસુ સાથેનો ઈમોજી પણ મૂકયા છે.જોકે, ત્યારબાદ હાલના પ્રમુખ પારુલ કારાએ પોતાની શબ્દોની ભૂલ સુધારીને પોસ્ટ મૂકી,જેમાં ધન્યતા અનુભવીની જગ્યાએ પરિવારને સાંત્વના આપી લખ્યું હતું.
બંને મહિલા અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે.આમ છતાં બંને એકબીજાના હરીફ હોય એમ સોશિયલ મીડિયામાં પોસ્ટ અને કોમેન્ટ યુદ્ધ થયું હતું.


