સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓને પણ સાથે રાખી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે આ સહાય રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડશે – જીતુ વાઘાણી
ગાંધીનગર
ગુજરા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટેની કટિબદ્ધતા સાથે નાગરિકોને અગવડ ન પડે તેની ચિંતા સાથે વિવિધ નિર્ણય લઈ રહી છે ત્યારે આ સંવેદનશીલ સમયમાં આપણે સૌ પણ આપણા ઘરે રહીને આ લડત માં સહભાગી થઈએ તે આવશ્યક છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના સૂચન મુજબ ૨૧ દિવસના લોકડાઉનના સમયગાળા દરમિયાન ગરીબો અને જરૂરિયાત મંદ પરિવારોને ભોજન, રાશન કિટ જેવી જરૂરી ચીજવસ્તુઓ ગુજરાતના તમામ જિલ્લાઓ-તાલુકા-મહાનગરમાં દરેક બુથ સુધી પહોંચે, કોઈ જરૂરિયાતમંદ વંચિત ન રહે તે સુનિશ્ચિત કરી ભાજપાના કાર્યકર્તાઓ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ તંત્રનો સહકાર લઈ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓને પણ સાથે રાખી આ સહાય રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડશે.
પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓના ઘરે પાંચ વ્યક્તિ માટે ભોજન બનાવી ગરીબ, સીનીયર સીટીઝન અને અશક્ત વ્યક્તિઓને પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત ભોજન માટે જરૂરી કાચી સામગ્રી જેવી કે લોટ, અનાજ, દાળ, તેલ, શાકભાજી અને જરૂરી અન્ય ચીજોની કીટ બનાવી જરૂરીયાતમંદ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે.