ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી,જેમાં નો રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે. મંત્રીમંડળની રચના બાદ સાંજે 4:30 વાગે મંત્રીમંડળની પ્રથમ બેઠક મળશે,જેમાં મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવશે.
10 + 1 કેબિનેટ મંત્રી
ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી)
રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા
જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
ઋષિકેશ પટેલ, વીસનગર
પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
રાઘવજી પટેલ, જામગનર ગ્રામ્ય
કનુભાઇ દેસાઈ, પારડી
કિરીટસિંહ રાણા, લીંબડી
નરેશ પટેલ, ગણદેવી
પ્રદીપ પરમાર, અસારવા
અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ
5 રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી, મજૂરા
જગદીશ પંચાલ, નિકોલ
બ્રિજેશ મેરજા, મોરબી
જીતુ ચૌધરી, કપરાડા
મનીષા વકીલ, વડોદરા
9 રાજ્યકક્ષાના મંત્રી
મુકેશ પટેલ, ઓલપાડ
નિમિષાબેન સુથાર, મોરવા હડફ
અરવિંદ રૈયાણી, રાજકોટ
કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર
કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
આર. સી. મકવાણા, મહુવા
વીનુ મોરડિયા, કતારગામ
દેવા માલમ, કેશોદ
પૂર્વ મુખ્યમંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં
આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ,ભાજપના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ,રાષ્ટ્રીય અગ્રણી, બી.એલ. સંતોષ,ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય,પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ,અગ્ર સચિવઓ,પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યઓ,ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેવા ફોન કરાયા હતા
શપથગ્રહણ પહેલાં ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે એવા ફોન કરવામાં આવી રહ્યા હતા,જેમાં ગણદેવીના નરેશ પટેલ,કનુ દેસાઇ,દુષ્યંત પટેલ,કિરીટ રાણા,હર્ષ સંઘવી,ઋષિકેશ પટેલ,અરવિંદ રૈયાણી,મનીષા વકીલ,પ્રદીપ પરમાર,કુબેર ડિંડોરને અત્યારસુધીમાં ફોન આવી ચૂક્યા હતા.
આ પહેલાં ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ ચોંકાવનારો રહ્યો હતો.નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું.છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ પગલું ભરવું પડ્યું.
નવું મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે.ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે,એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે.આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.
આહીર સમાજ નારાજ
રાજ્યના બે પૂર્વ મંત્રીઓ વાસણભાઈ આહીર તથા જવાહર ચાવડાને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળવાની ચર્ચાને કારણે આહીર સમાજ પણ નારાજ છે.સમસ્ત આહીર સમાજ દ્વારા ખૂલીને આ મામલે પત્ર લખીને વિરોધ વ્યક્ત કરાયો છે અને આગામી સમયમાં જો આ બે નેતાને મંત્રીપદ ન અપાય તો ચૂંટણીમાં તેનાં પરિણામ ભાજપને ભોગવવા માટે તૈયાર કહેવાયું છે.એવામાં હવે આજે યોજાનારા શપથવિધિ સમારોહમાં આ બંને નેતાઓને ફરીથી મંત્રીપદ સોંપાય છે કે કેમએતેના પર પણ નજર રહેશે.
30 જેટલા મંત્રીઓ નો-રિપીટ થિયરીથી નારાજ
ભાજપનાં સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ 30 જેટલા મંત્રીઓ-ધારાસભ્યો નો-રિપીટ થિયરીથી અત્યંત નારાજ છે અને કોઈપણ હદે જવા માટે મક્કમ છે. એમાંથી મોટા ભાગના એ મંત્રી છે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા.કુંવરજી બાવળિયા તો ખૂલીને બહાર આવી ગયા છે. સમાજ દ્વારા પાર્ટી હાઇકમાન્ડને ચેતવણી આપી રહ્યા છે કે કોળી સમાજનું અપમાન થયું તો ચૂંટણીમાં જોઈ લઈશું.અંતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ડેમેજ કન્ટ્રોલની જવાબદારી સંભાળવી પડી છે.
નારાજ મંત્રીઓને મનાવવા વિજય રૂપાણીને કામ સોંપાયું
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાની ગતિવિધિઓ શરૂ થઈ હતી,જેમાં પણ એકપણ પૂર્વ મંત્રીને રિપીટ નહીં કરવાની ફોર્મ્યુલા મુજબ કામગીરી ચાલી રહી હતી.એ સમયે જ કેટલાક સિનિયર મંત્રીઓ, જેમનું અલગ-અલગ જ્ઞાતિઓ પર પણ પ્રભુત્વ છે,એવા મંત્રીઓ પોતાની નારાજગી ભાજપ અલગ-અલગ નેતાઓ સુધી રજૂઆત કરવા દોડધામ કરી રહ્યા હતા.આ સંજોગોમાં અલગ-અલગ નેતાઓને બદલે ભાજપના હાઇકમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ કામ સોંપી દીધું હતું.


