વિધાનસભાના પત્રના નામે વિપક્ષ નેતા જલદી જાહેર કરાવવા કોંગ્રેસનો નવો પ્લાન સામે આવ્યો છે.જેમાં પત્ર લખાયો પક્ષાંતરધારા માટે અને હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરાયું.તથા MLAના લિસ્ટ માટે-પત્રવ્યવહાર માટે કોઈને પણ પ્રતિનિધિ બનાવી શકાય છે.તેમજ કોંગ્રેસે હજુ સુધી વિપક્ષ નેતા અને દંડક પદે કોઈની પસંદગી કરી નથી.
વિપક્ષ નેતા,દંડકની પસંદગી કરી લેવા માટે હાઈકમાન્ડને પત્ર લખ્યો
વિધાનસભાનો પત્ર મળતાં જ હરખપદુડા થઈને પ્રદેશ કોંગ્રેસે પત્રના ઓથા હેઠળ જલદી વિપક્ષ નેતા બનાવવાની માગણી કરી છે,જેને લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, એઆઈસીસીના સેક્રેટરી કે.સી. વેણુગોપાલ અને પ્રદેશ પ્રભારી રઘુ શર્માને પત્ર લખ્યો છે અને 19મી સુધીમાં વિપક્ષ નેતા,દંડકની પસંદગી કરી લેવા માટે હાઈકમાન્ડને પત્ર લખ્યો છે. આ બાબતે સિનિયર ધારાસભ્યો કહે છે કે, પ્રદેશ નેતાગીરી હાઈકમાન્ડ પાસેથી નામ પણ મંજૂર કરાવી શકતી નથી,જેના કારણે વિધાનસભાનો પત્ર મોકલીને હાઈકમાન્ડને જ ગેરમાર્ગે દોરી રહી છે.
આ સામાન્ય બાબતની પણ કોંગ્રેસને ખબર નથી
કોંગ્રેસે હજુ સુધી વિપક્ષ નેતા અને દંડક પદે કોઈની પસંદગી કરી નથી,જેને લઈ વિધાનસભા સચિવાલયે પ્રદેશ કોંગ્રેસને પત્ર લખી ધારાસભ્યોની યાદી મંગાવી છે,નવી સરકાર રચાયને પહેલું સત્ર મળે ત્યારે હંમેશ પ્રમાણે આવી પ્રક્રિયા થતી હોય છે,જાણકારો કહે છે કે, અધ્યક્ષ કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ સાથે પત્રવ્યવહાર કરે તે માટે કોઈ પણ ધારાસભ્યનું નામ પણ પ્રદેશ નેતાગીરી પસંદ કરી શકે તેમ છે,જોકે આ સામાન્ય બાબતની પણ કોંગ્રેસને ખબર નથી.
કોંગ્રેસ ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને દંડકની પસંદગી કરી શકી નથી
વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાને એક મહિનો થયો પરંતુ કોંગ્રેસ ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને દંડકની પસંદગી કરી શકી નથી,ગુજરાત કોંગ્રેસની નેતાગીરીનું પણ કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ કંઈ ઊપજતું ના હોય તેવી સ્થિતિ છે,આ સ્થિતિમાં ગુજરાત વિધાનસભા સચિવાલયના પત્રને આધાર બનાવી જલદી વિપક્ષ નેતા-દંડક જાહેર થાય તે માટે તે માટે પ્રદેશ નેતાગીરી હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરી રહી હોવાની બાબત સામે આવી છે.વિધાનસભા સચિવાલયે માત્ર ભવિષ્યમાં પક્ષાંતર ધારા હેઠળ કોઈ ધારાસભ્ય સામે કાર્યવાહી કરવાની થાય તો તેવા કિસ્સામાં કોંગ્રેસ સહિતના તમામ પક્ષના ધારાસભ્યના નામ-સરનામાની માહિતી 19મી જાન્યુઆરી સુધી માગી હતી,જેમાં પત્રવ્યવહાર માટે કોંગ્રેસના પ્રતિનિધિનું નામ માગ્યું હતું,હકીકતમાં તો કોઈ પણ ધારાસભ્યને કાયદા પ્રમાણે પ્રતિનિધિ તરીકે નીમી શકાય તેમ છે.