અમદાવાદ : ગુરુવાર : ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસનો આંક ૧૦૦ને પાર થયો છે.છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૭ નવા કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા ૧૦ દિવસમાં એક્ટિવ કેસ ૧૨૫% વધીને હવે ૫૧૭ થઇ ગયા છે.જોકે,રાહતની વાત એ છે કે એકપણ દર્દી હાલમાં વેન્ટિલેટર પર નથી.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૬૨-ગ્રામ્યમાંથી ૨ સાથે સૌથી વધુ ૬૪,વડોદરા શહેરમાંથી ૨૦-ગ્રામ્યમાંથી ૨ સાથે ૨૨,સુરત શહેરમાંથી ૯-ગ્રામ્યમાંથી ૧ સાથે ૧૦,ગાંધીનગર શહેરમાંથી ૪ ગ્રામ્યમાંથી ૧ સાથે ૫,રાજકોટ શહેરમાંથી ૩,અમરેલી-મહેસાણા-સુરેન્દ્રનગર-વલસાડમાંથી ૨,આણંદ-અરવલ્લી-બનાસકાંઠા-ભરૃચ-જામનગર શહેરમાંથી ૧ નવા કેસ સામે આવ્યા હતા.છેલ્લા ૯ દિવસમાં જ રાજ્યમાંથી કુલ ૬૧૩ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.હાલ અમદાવાદમાં સૌથી વધુ ૨૮૨,વડોદરામાં ૮૪,સુરતમાં ૪૨ સાથે સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૯.૦૭ ટકા છે.ગુરુવારે વધુ ૮૧૩૫૩ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી.આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે ૧૧.૦૪ કરોડ છે.જેમાંથી કુલ ૩૫.૪૮ લાખ દ્વારા પ્રીકોશન ડોઝ લેવામાં આવ્યો છે.


