૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.કોંગ્રેસે ગુજરાત સરકાર પર પ્રહારો કરતા કહ્યું છે કે આદિવાસી ભાઈઓ બહેનોને જંગલ જમીનના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે.રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં કોંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની યુપીએ સરકાર આદિવાસીઓ માટે જંગલ જમીન અધિકાર કાયદો લાવી અને ગરીબ આદિવાસીઓને જમીન મળે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.તેમણે કહ્યું કે રાજ્યસભામાં તા. ૮-૨-૨૦૨૩ના રોજ અપાયેલ વિગત મુજબ ગુજરાત રાજ્યના ૯૧,૧૮૩ આદિવાસીઓને જંગલ જમીન અધિકારથી વંચિત રખાયા છે.જંગલ જમીન કાયદા હેઠળ અરજી કરનારમાંથી ૪૯.૮% આદિવાસી ભાઈઓ-બહેનો તેમના લાભથી વંચિત છે.ગુજરાત રાજ્યના ૫૭૦૫૪ આદિવાસીઓની જંગલ જમીનના અધિકારની અરજીઓને નામંજૂર કરવામાં આવી છે. ૩૪,૧૨૯ અરજીઓ પેન્ડિંગ છે, હજી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી.
તેમણે કહ્યું કે ભાજપ દ્વારા આદિવાસીઓ માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે,જ્યારે ગરીબ વંચિત આદિવાસીઓને અધિકારો આપવાની વાત હોય ત્યારે તે આદિવાસીઓને લાભથી વંચિત રાખવામાં આવે છે.ગુજરાત રાજ્યની ૧૬૦૦૦ હેક્ટરથી પણ વધારે જમીનને બિન જંગલ ઉપયોગમાં લેવામાં આવી છે.અલગ અલગ કાયદા લાવીને ગરીબ આદિવાસીઓની જમીન છીનવીને પોતાનાના મળતીયાઓને લાભ માટેનું વ્યવસ્થાતંત્ર થઈ ગયું હોય તેમ છે.તેમણે કહ્યું કે લોકડાઉનમાં ગરીબ આદિવાસીઓ ઉપર જમીનના મુદ્દે બળજબરી કરતા તંત્રને આપણે સૌએ જોયું છે.તંત્ર અને સરકારને આદિવાસીઓની જમીનને ઉદ્યોગો અને કોર્પોરેટને આપતા જોયા છે.અંબાજીથી ઉમરગામના ગરીબ આદિવાસીઓએ પોતાનાના હક્કની લડાઈ લડવા માટે રોડ ઉપર ઉતરવું પડે છે.તેમણે કહ્યું કે ગુજરાતના ગરીબ આદિવાસી સમાજની જંગલ જમીન અધિકારની નામંજૂર અરજીઓ ઉપર ફેર વિચારણા કરવી જોઈએ.જંગલ જમીન અધિકારની પેંડિંગ અરજીઓ પર ત્વરિત નિર્ણય થાય તેવી સરકાર સમક્ષ માંગ કરી છે.