– શ્રમ વિભાગ તપાસ ટીમોને જુદા જુદા વિસ્તારોમાં મોકલશે
અમદાવાદ : ગુજરાતમાં અંદાજે 1.30 લાખ બાળકો ગેરકાયદે ખેતમજૂરી સાથે સંકળાયેલા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ શહેરના એક બિન સરકારી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે.આ બાબતની ગંભીર નોંધ લેતા રાજ્ય શ્રમ વિભાગે ચોક્કસ વિસ્તારોમાં તપાસ માટે ટીમો મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.આ ટીમોને કોઈ પણ પ્રકારની ગેરરિતિ જણાશે તો કડક પગલાં લેશે તેવા સંકેત પણ ઉચ્ચ અધિકારીઓએ આપ્યા છે.
ખેતરોમાં બાળમજૂરી પાછળ જવાબદાર કારણો પૈકીનું એક કારણ બિયારણ કંપનીઓ દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવતા નીચા ભાવ પણ જવાબદાર છે.ઉત્પાદકો વયસ્ક લોકોને બદલે બાળકોને એટલા માટે ક્રોસ પોલિનેશનના કામમાં લગાવી રહ્યા છે તેમ સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શનના સુધિર કટિયારે જણાવ્યું હતું.
એક અભ્યાસ મુજબ વયસ્ક ખેતમજૂર ઊંચી મજૂરી માંગતો હોવાથી આદિવાસી બાળકોને ખેતમજૂરમાં જોતરવામાં આવે છે અને તેમને રોજ પેટે રૂ. 150 જેટલું નીચું મહેનતાણું ચૂકવવામાં આવે છે.કટિયારના મેત રાજ્યમાં અંદાજે 1.30 લાખ બાળકો ખેતમજૂરી સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે.
10 વર્ષ અગાઉ ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજ્ય સરકારે બાળકો પાસે ખેતમજૂરી કરાવનારા લોકો પર સપાટો બોલાવ્યો હતો જેને પગલે કોટનસીડ ઉદ્યોગે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,મહિસાગર અને છોટાઉદેપુર જેવા આદિવાસી પટ્ટામાં આવેલા ખેતરોમાં ઉત્પાદન કામગીરી સ્થળાંતરિક કરી હતી.
રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી બાળકોને લાવીને ખેતમજૂરીનું ચલણ અટક્યું છે પરંતુ હવે આદિવાસી બાળકોને ખેતરોમાં જોતરવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યું છે તેમ કટિયારે વધુમાં જણાવ્યું હતું.આ ગેરકાયદે પ્રવૃતિને ડામવા બિયારણ કંપનીઓએ ખેડૂતોને કપાસીયાના સારા ભાવ આપવા જોઈએ.
સરકારને પણ અપીલ કરીએ છીએ કે, તેઓ આ ગેરકાયદે કામની નોંધ લે અને બાળમજૂરીને અટકાવવા વ્યૂહાત્મક પગલાં લે.
આ અંગે રાજ્યના ડેપ્યુટી લેબર કમિશ્રન એમ સી કારિયાએ જણાવ્યું કે આ બાબતની નોંધ લેવામાં આવી છે અને ટૂંકમાં પગલાં લેવાશે.અગાઉ અમારી ટીમે ઉત્તર ગુજરાતમાં બાળ ખેજમજૂરોના નેટવર્કનો પર્દાફાશ કરાયો હતો.અમારા વિભાગ દ્વારા આ પ્રકારની પ્રવૃતિ સામે સમયાંતરે તપાસ કરવામાં આવતી હોય છે. અમે જુદા જુદા વિસ્તારોમાં ટીમો મોકલીશું અન જો કોઈ ગેરકાયદે પ્રવૃતિ થતી જણાશે તો ચોક્કસ પગલાં લઈશું.