અમદાવાદ : ગુજરાત યુનિ.ની આજે સિન્ડીકેટ બેઠક મળી હતી.જેમાં આગામી શૈક્ષણિક વર્ષના યુજી-પીજી સહિતના તમામ પ્રવેશ માટે નવી કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો.આ કમિટી હવે તમામ ફેકલ્ટીના ડીન તેમજ અધ્યાપકો સાથેની સંપૂર્ણ એકેડમિક કમિટી રહેશે.જેમાં એક પણ સીન્ડીકેટ મેમ્બર નહી હોય.આ કમિટીને પ્રવેશ પ્રક્રિયા માટેના નિર્ણયો લેવાની તમામ સત્તા અપાશે.ગુજરાત યુનિ.દ્વારા યુજી-પીજીના તમામ કોર્સીસમાં ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા કરવામા આવે છે.ગત વર્ષ પહેલા ખાનગી કમ્પ્યુટર એજન્સી પાસે યુનિ.ઓનલાઈન પ્રક્રિયા કરાવતી હતી પરંતુ ગત વર્ષે એબીવીપી દ્વારા ભારે વિરોધ કરાતા યુનિ.એ સરકારી કમ્પ્યુટર એજન્સી એવી જીઆઈપીએલને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.ઉપરાંત ગત વર્ષે યુનિ.એ નવનિયુક્ત તમામ સીન્ડીકેટ સભ્યો સાથે ૧૮ સભ્યોની પ્રવેશ સમિતિ રચી હતી. સિન્ડીકેટ સભ્યો હોવા છતાં પણ અનેક છબરડાઓ અને વિવાદો સાથે ફરિયાદો ઉઠી હતી.કોમર્સમાં તો સાતથી આઠ પ્રવેશ રાઉન્ડ થયા હતા અને ખૂબ જ મોડે સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલી હતી.
યુનિ.દ્વારા હવે સિન્ડીકેટ સભ્યો સિવાયની સંપૂર્ણ એકેડમિક પ્રવેશ સમિતિ રચવાનું નક્કી કરાયુ છે.જેમા તમામ ડીન અને પ્રોફેસરો તેમજ યુનિ.ના જ ટેકનિકલ જાણકાર કર્મચારીઓ રહેશે.એક પણ સિન્ડીકેટ સભ્ય પ્રવેશ સમિતિમાં નહીં રહે.યુનિ.ની આ નવી પ્રવેશ સમિતિ દ્વારા ક્યારથી પ્રવેશ પ્રક્રિયા શરૃ કરવી, કઈ રીતે પ્રવેશ કરવા,કેટલા રાઉન્ડ કરવા તેમજ કઈ એજન્સી પાસે પ્રવેશ કરાવવા તે સહિતના તમામ નિર્ણયો કરશે.આગામી વર્ષે એજન્સી બદલાય તેવી પણ શક્યતા છે.આગામી વર્ષે તમામ કોર્સમાં અને ખાસ કરીને કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયા ઓછા રાઉન્ડ સાથે ટૂંકા સમયમાં પૂર્ણ કરવાનું પણ નક્કી કરાયુ છે.