અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોમર્સ,બીબીએ-બીસીએ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે આખરે આજથી ફુલ રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ આગામી 28મી જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે.જેના આધારે આગામી 4 જુલાઇના રોજ પ્રોવિઝનલ મેરિટલીસ્ટ જાહેર કર્યા બાદ 15મી જુલાઇએ પહેલા રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરવામાં આવશે.
યુનિવર્સિટીએ છેલ્લા કેટલાક દિવસથી કવીક રજિસ્ટ્રેશ શરૂ કર્યા બાદ હવે ફાઇનલ એટલે કે ફુલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરૂ કરી દીધી છે.આજથી વિદ્યાર્થીઓ પોતાના પરિણામ સહિતની વિગતો રજૂ કરીને ફી ભરીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવી શકશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે.બી.કોમ,બીબીએ-બીસીએ,એમએસસી આઇ.ટી.એમબીએ ઇન્ટીગ્રેટેડ સહિતના કોર્સ માટે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીએ જાહેર કરેલા પ્રવેશના કાર્યક્રમ પ્રમાણે 28મી જૂન સુધી રજિસ્ટ્રેશન ચાલુ રાખવામાં આવશે.23મીથી 29મી દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે.જેમાં ચાલુ વર્ષે ધો.12 પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ અને અનામત કેટેગરીના વિદ્યાર્થીઓએ નજીકની કોમર્સ કોલેજમાં જઇને ફોર્મ વેરિફિકેશન કરાવવાનું રહેશે.
યુનિવર્સિટી દ્વારા આગામી 4 જુલાઇના રોજ પ્રોવિઝનલ મેરિટલીસ્ટ જાહેર કરવામાં આવશે.મેરિટમાં ભુલ હોય તો વિદ્યાર્થીઓ 4થી 6 જુલાઇ દરમિયાન નજીકની કોમર્સ કોલેજમાં જઇને આ ભુલ સુધારી શકશે. 12મી જુલાઇના રોજ ફાઇનલ મેરિટલીસ્ટ અને મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે.12મી અને 13મી જુલાઇએ પહેલા રાઉન્ડ માટે વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે.15મી જુલાઇએ પહેલા રાઉન્ડના આધારે કોલેજની ફાળવણી કરવામાં આવશે.15મીથી 18મી દરમિયાન વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે.
15મીથી 19મી સુધીમાં કોલેજમાં જઇને રીપોર્ટિંગ કરવાનું રહેશે.20મી જુલાઇથી પહેલા વર્ષમાં અભ્યાસનો પ્રારંભ કરાવવામાં આવશે.ત્યારબાદ પહેલા રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોના આધારે બીજો રાઉન્ડ કયારે કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે.વિદ્યાર્થીઓ કોઇપણ કોમર્સ કોલેજમાં જઇને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશે.આ માટે વિદ્યાર્થીઓએ 10 રૂપિયા ફી ચુકવવાની રહેશે.અત્યાર સુધી કોરોના મહામારીના કારણે ઓનલાઇન વેરિફિકેશન કરવાનું રહેતું હતુ પરંતુ હવે બે વર્ષ પછી કોલેજમાં જઇને કરવાનું રહેશે.
આ સિવાય કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે સુરક્ષાકર્મી પૈકી ઓનડયુટી વીરગતિને પ્રાપ્ત થયા હોય તેવા કર્મચારીઓના સંતાનોને પી.જી.માં સુપરન્યુમેરરી બેઠક પર પ્રવેશ આપવાનું નક્કી કરાયુ છે.વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવામાં મોબાઇલનંબર નાંખવામાં ભુલ કરી હોય તો કોલેજમાં આ સુધારો થઇ શકશે નહી.આ ઉપરાંત ધો.12માં એકાઉન્ટ ન હોય અને બી.કોમમાં પ્રવેશ લેવો હોય તો બ્રીજ કોર્સ કરવાનો રહેશે આ માટે અલગથી ફી ભરવાની રહેશે.