ગુજરાતમાં કોરોનાના કેસની સાથે સાથે રેમડેસિવિર ઇન્જેક્શન મામલે રામાયણ જોવા મળી રહી છે.સુરતમાં થયેલા વિતરણનો મામલો હજી શમ્યો નથી ત્યાં ફરી એક વખત રાજ્ય સરકારને હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે.કોરોનાની ગંભીર પરિસ્થિતિને લઈને હાઈકોર્ટમાં થયેલી સુઓમોટોને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.હાઈકોર્ટે આ મામલે કડકાઈથી કામ લઈને નિર્દેશ આપ્યા છે. સાથે જ રેમડેસિવિર ઈન્જેક્શન મામલે પણ હાઈકોર્ટે ટકોર કરી કે,ઈન્જેક્શનનો સ્ટોક હોવા છતા કોવિડ હોસ્પિટલમાં ઈન્જેક્શન પહોંચી નથી રહ્યાં.
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને મહત્વના નિર્દેશ આપતા કહ્યુ કે, રેમડેસિવિરના વિતરણ બાબતે રાજ્ય સરકાર પોતે જરૂરી નિતિ વિષયક નિર્ણય લે.ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને મહત્વના નિર્દેશ આપતા રેમડેસિવિર ઇન્જેકશનનું વિતરણ મ્યુ. કમિશ્નર કે જિલ્લા કલેકટરોની જવાબદારી ઉભી કરીને સોંપવી જોઇએ નહિ.આરોગ્ય વિભાગના અગ્રસચિવ તમામ જરૂરી લોકો સાથે અરજન્ટ મિટિંગ બોલાવી અને આ પ્રશ્નના નિરાકરણ માટે કાર્યવાહી કરે.હાઈકોર્ટે એસવીપી હોસ્પિટલ સામે હાઈકોર્ટે લાલ આંખ કરતા કહ્યુ કે, હોસ્પિટલમાં રેમડેસિવિરનો સ્ટોક હોવા છતાં કોવિડ હોસ્પિટલમાં ઇન્જેકશન પહોંચતા નથી. એસવીપીમાં ઇન્જેકશનના સ્ટોક અંગે સરકાર તપાસ કરે.
આ સાથે જ હાઈકોર્ટે કહ્યુ કે, ગ્રામ્ય વિસ્તારોમાં રેમડેસિવિર અને ટોસિલિઝુબેમ મળે છે કે નહિ તે અંગે સરકાર ધ્યાન આપે. તાલુકામાં કોરોના અંગે કોર કમિટી બનાવી મેડિકલ સુવિધાઓ પૂરી પાડો. 108માં આવતા ક્રિટીકલ દર્દીઓની વિગત સરકાર ધ્યાન રાખે. ક્રિટીકલ પેશન્ટ્સ માટે 108ની ઉપલબ્ધતા પહેલા કરાવવામાં આવે.જેનો કોલ પહેલો આવ્યો તેને એમ્બ્યુલન્સ પહેલા લેવા જશે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવો.દર્દીઓને એક હોસ્પિટલમાંથી બીજા હોસ્પિટલમાં લઇ જવા 108ને પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે.હાઈકોર્ટે આ મુદ્દે કહ્યુ કે, 108 હોસ્પિટલમાં દર્દીને ઉતાર્યા બાદ અન્ય જગ્યા પર લઇ જતા નથી તેવું હવે નહિ ચાલે. કોરોના વાયરસ સંક્રમણના મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો કે, એમ્બ્યુલન્સ સેવા કરતા આવેલા કોલમાં ક્રિટીકલ પેશન્ટ કોણ છે તેના ત્યાં એમ્બ્યુલન્સ પહેલી પહોંચે તે જરૂરી છે.


