અમદાવાદ : ગુજરાતને બદનામ કરવાના કેસમાં ધરપકડ કરાયેલ મુંબઇની સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઇપીએસ અધિકારી આર.બી.શ્રીકુમારે અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.જેની સુનાવણી તા.૮મી જૂલાઇના રોજ નીકળે તેવી શકયતા છે.તપાસનીશ એજન્સીએ ખોટી રીતે કેસમાં સંડોવ્યા હોઇ બંને આરોપીઓની જામીન આપવા માંગણી
આરોપીઓએ ઝાકીય જાફરીની અરજી તેમ જ અલગ અલગ કોર્ટની પિટિશનો અને એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અલગ અલગ કમીશનમાં રજૂ કરી આ કામના નિર્દોષ વ્યકિતઓને મૃત્યુદંડની સજાની જોગવાઇઓની કલમો મુજબ પ્રોસીડીંગ્સ થાય તે હેતુથી બદઇરાદાપૂર્વક સમગ્ર વિષય સળગતો રહે તે પ્રકારે ગુજરાતને બદનામ કરવાનું કાવતરું અને ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું હોવાના આરોપસર શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા તિસ્તા શેતલવાડ,આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરુધ્ધ ફરિયાદ નોધવામાં આવી હતી.
આ કેસમાં તિસ્તા શેતલવાડ અને આર.બી.શ્રીકુમાર દ્વારા કરાયેલી જામીનઅરજીમાં એવો બચાવ રજૂ કરાયો છે કે,અરજદારો આ કેસમાં નિર્દોષ છે અને તેઓને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે.તપાસનીશ એજન્સીએ સુપ્રીમકોર્ટના ઝાકીય જાફરીના કેસમાં અપાયેલા ચુકાદાનું ખોટુ અર્થઘટન કરી તેઓની વિરુધ્ધ ખોટી રીતે એફઆઇઆર નોંધી છે.શ્રીકુમારે એવો બચાવ કર્યો કે,તેમણે નાણાવટી પંચ સમક્ષ જે સોગંદનામા રજૂ કર્યા તે કોર્ટ પ્રોસીડીંગ્સના ભાગરુપે હતા,તેમાં તેમની વિરુધ્ધ ખોટા દસ્તાવેજો કે સોગંદનામા રજૂ કરવાનો ગુનો બનતો નથી.આ સંજોગોમાં બંને આરોપીઓએ તેઓના જામીન મંજૂર કરવા અદાલતને વિનંતી કરી છે.


