ગુજરાત સરકારને કોરોના અને લોકડાઉનના પગલે જીએસટીનું ૧૨ હજાર કરોડનું નુકશાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે.જેથી ગુજરાત ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું રાજયને જીએસટી ક્ષતિપૂર્તિ રૂપે નાણાકીય મદદની ખુબ જ જરૂરિયાત છે.પરંતુ મહેસુલી આવકના ઘટાડાને લીધે કેન્દ્ર સરકારના હાથ પણ બંધાયેલા છે.
નીતિન પટેલ રાજયના નાણા મંત્રી છે અને તેમણે બુધવારે જીએસટી પરિષદની ૪૧ મી બેઠકમા વિડીયો કોન્ફરસનની મદદથી ભાગ લીધો હતો. તેમણે એક નિવેદનમા કહ્યું કે આ બેઠકનો મુખ્ય એજન્ડા કોરોના વાયરસના લીધે આવકમા ઘટાડાની ક્ષતિપૂર્તિ આપવાના ઉપાય જાણવાનો હતો.
નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, દેશમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે લોકડાઉન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો છે. અનલોક થતાં વેપાર ઉદ્યોગ ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યો છે એવા સંજોગોમાં G.S.T. કાયદા અંતર્ગત કેન્દ્ર સરકાર પાસેથી તમામ રાજયોને લેવાનું થતું વળતર કેન્દ્ર સરકાર લોન લઇને ચૂકવી આપે એવું સૂચન મોટા ભાગના રાજ્યોએ કર્યુ છે.
ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનની ઉપસ્થિતિમાં યોજાયેલી G.S.T. કાઉન્સીલની બેઠકમાં સહભાગી થતાં નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, તમામ રાજ્યોની વળતર મેળવવા સંદર્ભે રજૂઆત હતી કે કેન્દ્ર સરકાર આ માટે લોન મેળવે અને લોનની રકમ આવે એ રકમ વિવિધ રાજયોને ચૂકવી આપે અને લોનની રકમ તથા વ્યાજ સેસની રકમમાંથી ચૂકવવા માટે એક સૂરથી તમામ રાજ્યોએ કહ્યું હતું અને સેસ ઉઘરાવવાની મુદત પણ જરૂર જણાય તો લંબાવવા માટે જણાવ્યું હતું. પટેલે કહ્યું કે જીએસટીનું વળતર રાજ્ય એક સાથે તમામ રકમ મેળવવા માગતા હોય તો તે માટે કેન્દ્ર દ્વારા બે સૂચન કરાયા છે. જેમાં મંદીના કારણે આવક ઓછી થઈ હોય અને કોરોનાના કારણે આવક ઓછી થઈ હોય તો તે અંગે તમામ રાજ્યો પાછળથી વિચારીને અભિપ્રાય આપે એ જરૂરી છે.તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના મહેસુલ સચિવ શ્રી દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં ઇન્કમટેક્ષ અને મહેસૂલી આવકમાં ઘટાડો થયો છે એવું સ્પષ્ટ જણાવ્યું હતું. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજયોને બે દિવસમાં વિકલ્પ મોકલી અપાશે. એટલે જે તે રાજ્યો તેમની વસતી અને ખર્ચ મુજબ પોતાનો મત રજૂ કરશે. આગામી સાત દિવસમાં તમામ રાજ્યોએ પોતાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.G.S.T. કાઉન્સિલ એ વિકલ્પનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ રાજ્યોને સહાય આપવાનો યોગ્ય નિર્ણય કરશે.
પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજયોને વળતર પેટે અંદાજે રૂ. ૩ લાખ કરોડ જેટલી રકમ આવનાર સમયમાં વળતર પેટે વિવિધ રાજયોને આપવાની થાય છે.ગુજરાતને પણ રૂ. ૧૨ હજાર કરોડનું વળતર લેવાનું થાય છે.આ સંદર્ભે કાઉન્સિલે સૂચવ્યા મુજબ રાજ્યના નાણા સચિવ અને જીએસટીના ચીફ કમિશનર સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાત સરકારે કયો વિકલ્પ આપવો એ અંગે નિર્ણય કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.


