– એપેડેમિક ડિસીઝનો ભંગ થયો હોય કાર્યવાહી કરવા પોલીસમાં અરજી કરાઈ
સુરત : કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓના ઈલાજ માટે વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે.ભાજપ કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવાને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સામે પોલીસમાં અરજી દાખલ થઈ છે.સુરતના એક સામાજિક કાર્યકર્તા અને એડવોકેટ દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં સી.આર. પાટીલ વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.જેમાં ફાર્મસી એક્ટ 1948નું ઉલ્લંઘન કરી તથા એપિડેમિક ડિસીઝ અને સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ સી.આર.પાટીલ સામે ગુનો બનતો હોવાની અરજી દાખલ કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને સરકાર લાચાર સ્થિતિમાં હતી.ત્યારે સી. આર. પાટીલ આટલા મોટા જથ્થામાં ઇન્જેક્શનો ક્યાંથી લાવ્યા તે અંગે પણ તેમના નેતાઓ દ્વારા અલગ-અલગ નિવેદનો કરવામાં આવ્યા હતાં.એપિડેમિક એક્ટ હેઠળ આ ઇન્જેક્શનો ગેરકાયદેસર રીતે આટલા મોટા પ્રમાણમાં સ્ટોકમાં રાખવામાં આવ્યા હોવાની અરજીમાં ઉલ્લેખ કરાયો છે.ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે ડ્રગ્સ વેચવાનો પરવાનો ન હોવા છતાં ઇન્જેક્શન કેવી રીતે વેચાણ કરાયા? રેમડીસીવીર ઇન્જેકશનની સંગ્રહખોરી તથા તેના વેચાણ એક રાજકીય પક્ષ દ્વારા કરવું ડ્રગ્સ અને કોસ્મેટિક કાયદો 1940ના કલમ 18 પ્રમાણે ગુનો બને છે. તથા ઇન્જેક્શન સપ્લાય વિરુદ્ધ પણ કલમ-17 મુજબ સપ્લાય કરનાર અને વેચાણ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ છે.
અરજીકર્તા વિલાસ પાટીલે જણાવ્યું કે, પ્રજા કરતાં વધુ કાયદાઓનું ઉલ્લંધન ભાજપના નેતાઓ કરી રહ્યા છે.પરંતુ એક પણ નેતા સામે દાખલારૂપ કાર્યવાહી પોલીસ અધિકારીઓ દ્વારા કે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી નથી.જેથી કરીને નેતાઓ કોઈનો ભય ન હોય તે રીતે કોરોના ફેલાવવામાં વ્યસ્ત બન્યા છે.સરકારની ગાઇડ લાઇનનો જો સૌથી વધુ કોઈ ઉલ્લંઘન કર્યું હોય તો તે ભાજપના નેતાઓ છે.ગરીબ લારી ગલ્લાવાળા ને રોજ કમાવીને ખાનારાઓ સામે મોટી મોટી કાર્યવાહી કરીને વાહવાહી લૂંટનાર પોલીસ અધિકારી અને વહીવટી તંત્રે આવા નેતાઓ સામે કાર્યવાહી કરી નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે.