કોંગ્રેસના વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદને સોનિયા ગાંધીએ જમ્મુ અને કાશ્મીર પ્રદેશની પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા પરંતુ અમુક જ કલાકોમાં આઝાદે આ જવાબદારી સ્વીકારવાની મનાઈ સાથે બહાનું પણ આગળ ધર્યું હતું.ગુલામ નબી કોંગ્રેસથી આઝાદ થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે મંગળવારે જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ પ્રચાર સમિતિના વડા પદેથી નિમણૂક થયાના ગણતરીના કલાકોમાં રાજીનામું આપી દીધું છે.સ્વાસ્થ્યના કારણોને ટાંકીને ગુલામ નબી આઝાદે નવી જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો.મંગળવારે કોંગ્રેસ પ્રચાર સમિતિની નવી રચના કરવામાં આવી હતી.પ્રચાર સમિતિમાં 11 નેતાઓનો સમાવેશ થાય છે જેમાં PCC પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ તેના કાયમી આમંત્રિતો છે.
મળતા અહેવાલો અનુસાર, ગુલામ નબી આઝાદની નારાજગી એ છે કે તેમની ભલામણોની અવગણના કરવામાં આવી રહી છે,જેના કારણે તેમણે નવી જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો છે.જો કે, કોંગ્રેસનું કહેવું છે કે આઝાદે નાદુરસ્ત તબિયતને કારણે પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકેનો હોદ્દો સંભાળવાનો ઇનકાર કર્યો છે.તો બીજી તરફ સોનિયા ગાંધીએ પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હોવાની માહિતીઓ પણ મળી રહી છે.ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર તેમણે પાર્ટી હાઈકમાન્ડને આ જાણકારી આપી છે.આઝાદે તેમને નવી જવાબદારી આપવા બદલ પાર્ટી નેતૃત્વનો આભાર માન્યો હતો.ગુલામ નબી આઝાદ પાર્ટી સિવાય G23 જૂથનો પણ ભાગ છે જે પાર્ટીમાં ઘણા મોટા ફેરફારોની હિમાયત કરે છે.આ તમામ ગતિવિધિઓ વચ્ચે આ રાજીનામાથી ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ સાથેના તેમના સંબંધો ઉપર પણ હવે સવાલો ઉભા થઇ રહ્યા છે.
પાંચ મહિના પહેલા કોંગ્રેસની હાર પર આઝાદના ઘરે G23 જૂથની બેઠક યોજાઈ હતી
પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસના અસંતુષ્ટ G23 જૂથની ડિનર બેઠક આઝાદના ઘરે યોજાઈ હતી.આ પછી પાર્ટીમાં નેતૃત્વને લઈને બળવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. CWCની બેઠકમાં, સોનિયા અને રાહુલ-પ્રિયંકાએ તેમના રાજીનામાની ઓફર કરી હતી જેને બેઠકમાં હાજર નેતાઓએ નકારી કાઢી હતી પરંતુ ત્યારથી G-23 જૂથ લોકસભા ચૂંટણી માટે વિશ્વસનીય વિકલ્પ ઓફર કરવાની વાત કરી રહ્યો છે.જેનાથી પાર્ટીના ભાંગી પાડવાનો ખતરો હતો.
રિપોર્ટ મુજબ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભાની ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરવા પહેલાં ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન તેમણે આઝાદ સમક્ષ પાર્ટીમાં બીજા ક્રમે રહીને જવાબદારી નિભાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો.જોકે, ગુલામ નબી આઝાદે એ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, પાર્ટી ચલાવનારા યુવાઓ અને દિગ્ગ્જ્જોના વિચારોમાં ઘણો અંતર છે.તે સમયે તેમણે કહ્યું હતું કે, આજે પાર્ટી ચલાવનારા યુવાનો અને મારી વચ્ચે એક પેઢીનું અંતર આવી ગયું છે.અમારા વિચાર અને તેમના વિચારમાં અંતર છે.આ માટે યુવાઓ પાર્ટીના દિગ્ગ્જ્જો સાથે કામ કરવા માટે તૈયાર થતા નથી.જોકે, ગુલામ નબી આઝાદે તે સમયે પ્રસ્તાવ ફગાવવા પાછળનું એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું હતું કે સોનિયા ગાંધીએ તેમને પાર્ટીમાં તેમની ભૂમિકા અંગે કંઈ કહ્યું ન હતું.એટલે કે તેમને સંગઠનના ઉપાધ્યક્ષ કે કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવશે કે મહાસચિવ બનાવવામાં આવશે તે પણ સ્પષ્ટતા કરી ન હતી.તે સમયે તેવું પણ માનવામા આવીબ રહ્યું હતું કે ગુલામ નબી આઝાદ કોંગ્રેસ પાર્ટીમાં કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તન લાવીને કોંગ્રેસને નવા રંગરૂપ અને નેતૃત્વ આપવાની મંશા રાખતા હતા.
વિકાર રસૂલ વાની જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના નવા અધ્યક્ષ
તો બીજી તરફ વિકાર રસૂલ વાનીને જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.અગાઉ અહેમદ મીર પ્રદેશ અધ્યક્ષ હતા,જેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. 47 વર્ષીય વાનીને ગુલામ નબી આઝાદની ખૂબ નજીક માનવામાં આવે છે.વાની કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને બનિહાલથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.તે જ સમયે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ધારાસભ્ય પવન કાજલને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે.હવે ચંદ્ર કુમાર નવા પ્રદેશ અધ્યક્ષ બનશે.