(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨ : ચંડીગઢની એક કંપની પર બિન સત્તાવાર દરોડા પાડવામાં સંડોવાયેલા પોતાના ચાર સબ ઇન્સ્પેક્ટરોને સીબીઆઇએ બરતરફ કરી દીધા છે.નાણાં પડાવવા માટે આ દરોડા પાડવામાં આવ્યા પછી આ ચાર ઇન્સ્પેકટરોની ધરપકડ કરી લેવામાં આવી હતી.ભ્રષ્ટાચાર સામે કડક નીતિનો અમલ ચાલુ રાખતા સીબીઆઇ ડાયરેક્ટર સુબોધ કુમાર જૈસવાલે આ ચાર અધિકારીઓમને સર્વિસમાંથી બરતરફ કરવાના નિર્દેશ આપ્યા હતાં.
સીબીઆઇના દિલ્હી યુનિટમા કાર્યરત ચાર સબ ઇન્સ્પેક્ટર સુમિત ગુપ્તા, પ્રદીપ રાણા, અંકુર કુમાર અને આકાશ એહલાવટ સામે ગેરકાયદે દરોડા પાડવા સાથે સંકળાયેલા ભ્રષ્ટાચાર કેસનો દાખલ કરવામાં આવ્યા પછી તેમને કસ્ટડીમાં લઇ જવામાં આવ્યા હતાં.ચંડીગઢ સ્થિત ઉદ્યોગપતિએ ૧૦ મેના રોજ સીબીઆઇ કાર્યાલયનો સંપર્ક સાધી ફરિયાદ કરી હતી કે સીબીઆઇ અધિકારીઓ સહિતના છ લોકા તેમની ઓફિસમાં ઘૂસી ગયા હતાં અને આતંકવાદીઓને નાણા આપવા બદલ ધરપકડ કરવાની ધમકી આપી હતી.તેમણે બિઝનેસમેન પાસેથી રૃ. ૨૫ લાખ રૃપિયાની માંગણી કરી હતી.
સીબીઆઇના પ્રવક્તા આર સી જોશીના જણાવ્યા અનુસાર સીબીઆઇએ પોતાના આરોપી અધિકારીઓના ઘરોમાં દરોડા પાડયા હતાં અને આ દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતાં.જોશીએ જણાવ્યું હતું કે સીબીઆઇએ ભ્રષ્ટાચાર અંગે ઝીરો ટોલેરન્સ નીતિ અપનાવી છે.એ આ નીતિ હેઠળ તે પોતાના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરતા ખચકાતી નથી.