– દેશના ભાગલા સંદર્ભે શિવસેના નેતા સંજય રાઉતનું વિવાદાસ્પદ નિવેદન
મુંબઈ : મહારાષ્ટ્રના શિવસેનાના સાંસદ સંજય રાઉતે અફઘાનિસ્તાનમાં પેદા થયેલી પરિસ્થિતિની તુલના ભારતના ભાગલા સમય સાથે કરી છે.તેમાં સંજય રાઉતે એક નવો એંગલ ઉમેર્યો છે.શિવસેનાના મુખપત્ર સામનામાં સંજય રાઉતે પોતાની સાપ્તાહિક કોલમ રોખઠોકમાં લખ્યું કે અફઘાનિસ્તાની વર્તમાન પરિસ્થિતિ ભારતના ભાગલા સમય જેવી છે.અફઘાનિસ્તાનની હાલત એવી યાદ અપાવે છે કે કોઈ પણ દેશનું અસ્તિત્વ અને અખંડતા ખત્મ થવા પર કેવી પીડા થાય છે.
રાજ્યસભા સાંસદ સંજય રાઉતના કહેવા અનુસાર જો નાથૂરામ ગોડ્સેએ મહાત્મા ગાંધીને બદલે મોહમ્મદ અલી ઝીણાને માર્યા હોત તો દેશનું વિભાજન અટકાવી શકાયું હોત.જો આવું થયું હોત તો ૧૪મી ઓગષ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવવાની જરુરત પડી ન હોત.હકીકતમાં સ્વતંત્રતા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
સંજય રાઉતે પોતાની કોલમમાં લખ્યું કે જ્યાં સુધી ભાગલાથી અલગ થયેલો ભાગ ફરી દેશમાં સામેલ થાય નહીં ત્યાં સુધી વિભાજનનું દર્દ કેવી રીતે ઓછું થઈ શકે.મનને કેવી રીતે શાંતિ મળી શકે.મને લાગે છે કે અખંડ ભારત બનવું જોઈએ, પરંતુ આ શક્ય લાગતું નથી.જો વડાપ્રધાન મોદી અખંડ ભારત બનાવવા ઈચ્છે છે તો આ વિચારનું સ્વાગત છે,પરંતુ વડાપ્રધાને જણાવવું પડશે કે એ પાકિસ્તાનના ૧૧ કરોડ મુસ્લિમોનું શું કરશે.
સંજય રાઉતે આગળ કહ્યું કે અખંડ ભારતની તરફેણ કરનારાઓએ મુસ્લિમ લીગ અને ટૂ-નેશન થિયરીનો વિચાર માની લીધો છે અને તેની વિરુદ્ધ લડાઈ લડી નથી.મહાત્મા ગાંધી રાજનીતિમાં સક્રિય નહતા, ત્યારે અંગ્રેજોએ મુસ્લિમોને અલગ મતદાર તરીકે રજૂ કરી દીધા હતા.જવાહરલાલ નેહરુએ આઝાદી પછી મુસ્લિમોને અલગ મતદાર માનવાથી ઈનકાર કરી દીધો હતો.જ્યારે મહાત્મા ગાંધીને મુસ્લિમ નેતાઓની ખોટી માંગ નહી માની તો કેટલાક નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી હતી.અહીંયા નોંધવું રહ્યું કે, એક તરફ અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ ફરી આવું ગયું છે અને ત્યાંની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર રહી નથી.બીજી તરફ ભારતમાં એક જૂથ હજુ અખંડ ભારતની થિયરીની વાત કરી રહ્યું છે, અખંડ ભારતમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંને આવી જાય છે.